જાણો ભાઈ-બીજની કથા અને તિલક શુભ મુહૂર્ત
દિવાળી બાદ આવતા ભાઇબીજના તહેવારની ઉજવણી પાછળ એક રસપ્રદ પૌરાણિક વાર્તા છે.આ વાર્તા છે યમરાજ અને તેની બહેન યમુનાની.આ વર્ષનું ભાઇબીજનું તિલક મુહૂર્ત અને ભાઇબીજની વાર્તા વાંચો અહીં.
કારતક શુક્લની બીજને યમ બીજ કહેવાય છે, જેને આપણે ભાઇબીજ પણ કહીએ છીએ. આ દિવસે બહેન પોતાના ભાઈને તિલક લગાવી તેના દિર્ઘાયુ, સ્વાસ્થ્ય અને રક્ષાની કામના કરે છે અને તેના બદલામાં ભાઇ બહેનની શક્ય હોય તે મદદ અને રક્ષાનો સંકલ્પ લે છે. જો કે, આજના ભૌતિક યુગમાં બહેનને માત્ર ગિફ્ટ આપવાની પ્રથા છે.
ભાઈ-બીજ શુભ મુહૂર્ત
આ વર્ષે ભાઈ-બીજ 21 ઓક્ટોબરે આવી રહી છે. આ દિવસે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં રહેશે અને ક્ષિતિજ પર વિશાખા નક્ષત્ર રહેશે. આ દિવસે દ્વિતિયા તિથિ 20 ઓક્ટોબર સાંજે 4.21 મિનિટથી 21 ઓક્ટોબર સાંજે 5.35 મિનિટ સુધી રહેશે. ભાઈ-બીજ તિલક મુહૂર્ત-1:50 મિનિટ થી 3:56 મિનિટ સુધી રહેશે.
ભાઈ-બીજની પૌરાણિક કથા
ભગવાન સૂર્યદેવની પત્ની છાયા છે, તેમને બે સંતાનો થયા. એક યમરાજ અને યમુના. યમુના પોતાના ભાઈ યમરાજનને ખૂબ જ પ્રેમ કરતી હતી. તે હંમેશા તેને કહ્યા કરતી કે, ભાઈ તું મારા ઘરે આવીને ભોજન કર. પણ યમરાજ પોતાના કામમાં વ્યસ્ત રહેવાને કારણે સમય કાઢી શકતા નહિં, જેને કારણે તે યમુનાની વાતને ટાળી દેતા.
યમુનાની ઇચ્છા
એકવાર કારતક શુક્લ બીજે યમુનાએ પોતાના ભાઈ યમરાજને ભોજન માટે બોલાવ્યા અને ત્યારે યમરાજ ના પાડી શક્યા નહિં. તેઓ બહેનના ઘરે જવા ઉપડ્યા. રસ્તામાં યમરાજે નરકમાં રહેતા જીવોને મુક્ત કરી દીધા. ભાઈને જોતા જ યમુના ખૂબ જ ખુશ થઈ અને તેનું સ્વાગત કર્યુ. યમુનાના હાથે સ્નેહભર્યું ભોજન ગ્રહણ કર્યા બાદ પ્રસન્ન થઈ યમરાજે બહેનને કંઈક માંગવા કહ્યું.
યમરાજનો ભય નહિં
યમુનાએ કહ્યું કે, તમે દર વર્ષે આ દિવસે મારા ત્યાં ભોજન કરવા આવશો. આ દિવસે ભાઈ પોતાની બહેનને મળશે અને બહેન પોતાના ભાઈને તિલક કરી ભોજન કરાવશે, તેને તમારો ડર રહેશે નહિં. યમરાજે યમુનાની વાત માનતા તથાસ્તુ કહ્યું અને યમલોક જતા રહ્યા. ત્યારથી આ માન્યતા છે કે. કારતક શુક્લની બીજે જે ભાઈ પોતાની બહેનના આતિથ્યનો સ્વીકાર કરશે તેને યમરાજનો ભય રહેશે નહિં.