25 માર્ચે ઉજવાશે ગુડી પડવો, ભગવાન રામ અને યુધિષ્ઠિર સાથે જોડાયેલી છે કથા
25 માર્ચે ઉજવાશે ગુડી પડવો, ભગવાન રામ અને યુધિષ્ઠિર સાથે જોડાયેલી છે કથા
ભારતમાં અસંખ્ય મોટા અને નાના તહેવારો ઉજવાય છે. આ તહેવારો સાથે લોકોની શ્રદ્ધા જોડાયેલી હોય છે. આ તહેવારોમાં વિવિધ દેવી-દેવતાઓની પૂજા કરાય છે. ગુડી પડવો પણ ભારતમાં ઉજવાતા આ તહેવારોની યાદીમાં સામેલ છે. ગુડી પડવાને હિન્દુ ધર્મમાં નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ગુડી પડવાની અલગ જ ઉજવણી થાય છે. બીજી તરફ દક્ષિણ ભારતમાં આ દિવસને લણણીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ભારતભરમાં જુદા જુદા નામો સાથે ઉજવણી અને ધાર્મિક કાર્યક્રમો થાય છે.
ગુડી પાડવાની તિથિ
ગુડી પડવાની ઉજવણી દર વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકમના દિવસે કરાય છે. બધા મહિનાઓમાં ચૈત્ર મહિનાને જ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે બ્રહ્માએ બ્રહ્માંડની રચના કરી હતી. લોકો તેને હિન્દુ સમાજના નવા વર્ષ તરીકે ઉજવે છે. આ વર્ષે ગુડી પડવો 25 માર્ચ અને બુધવારે ઉજવવામાં આવશે.
ગુડી પડવા સાથે જોડાયેલી કથાઓ
ગુડી પડવો ખૂબ જાણીતો તહેવાર છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા હતા અને રાજ્યાભિષેક થયો હતો. મહાભારત કાળમાં પણ આ દિવસે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો હતો. માન્યતા એ પણ છે કે કે સતયુગની શરૂઆત આ દિવસથી થઈ હતી. આ દિવસે બ્રહ્માએ બ્રહ્માંડની રચના કરી અને જીવનની શરૂઆત કરી હતી. ભગવાન વિષ્ણુએ આ દિવસે મત્સ્ય અવતાર લીધો હતો.
ગુડી પડવાનું મહત્વ
આ દિવસને મહારાષ્ટ્રમાં ગુડી પડવા અને આધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં આ દિવસને ઉગાદિ રૂપે મનાવવામાં આવે છે. ઉત્તર ભારતમાં ચૈત્ર નવરાત્રીની શરૂઆત આ શુભ દિવસથી થાય છે.
ગુડી પડવો કેવી રીતે મનાવવામાં આવે છે.
ગુડીનો અર્થ વિજય પતાકા થાય છે. ગુડી ફરકાવ્યા બાદ તેની આસપાસ સુંદર રંગોળી બનાવાય છે. આ દિવસે નાના-મોટા સરઘસ નીકળે છે. મહિલાઓ ઘરના પ્રવેશદ્વાર પર સજાવટ કરે છે. નવા કપડા પહેરી પરંપરાગત વાનગીઓ બનાવવામાં આવે છે. આ દિવસે લોકો પુરણ પોળી, પુરી અને શ્રીખંડ, અને સક્કર ભાત ખાય છે.
હસ્તરેખા જ્યોતિષઃ કિસ્મતમાં છે રાજયોગનું સુખ, હથેળીથી મળી શકે છે આવા સંકેત