જાણો કરવા ચોથે શા માટે થાય છે 'કરવા'ની પૂજા?
કરવા ચોથીની પૂજાની માં કરવાનું મહત્વ અનેરૂ છે. આ કરવાની પૂજા કેવી રીતે કરવી અને તેનુ મહત્વ જાણો. આ અંગે વધુ વાંચો અહીં.
આ વર્ષે 8 ઓક્ટોબરે કરવા ચોથ આવી રહી છે. જે માટે પરણિત સ્ત્રીઓ અગાઉથી તૈયારીઓ કરી રહી છે. કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ કરવાચોથનું વ્રત ઉજવાય છે. સુહાગન સ્ત્રીઓ પોતાના પતિની રક્ષા, દિર્ઘાયું અને સુખી જીવનની કામના કરે છે. આ દિવસે નિર્જળા વ્રત કરે છે અને સાંજના સમયે ચંદ્રઉદય પહલા ભગવાન ગણેશ અને ગૌરી, શિવ-પાર્વતી અને ચૌથની મુખ્ય દેવી અંબિકાની પૂજા-અર્ચના કરે છે.
કરવા ચોથ
આ દિવસે 'કરવા'ની પૂજા થાય છે. આ કારણથી આ વ્રતને 'કરવા ચોથ' કહેવાય છે. પણ આ 'કરવા'ની પૂજા શા માટે કરવામાં આવે છે તે તમે જાણો છો? કારતક માસની ચોથના જ દિવસે શા માટે આ પૂજા કરવામાં આવે છે તે વિશે તમે જાણો છો? તો તેની પછાળ એક દંતા કથા રહેલી છે.
પંચતત્વનું પ્રતિક છે 'કરવો'
માટીનો બનેલો 'કરવો' પંચતત્વનું પ્રતિક છે, કારણ કે તે માટી અને પાણીને ભેળવીને બનાવાય છે અને તેને બનાવ્યા બાદ હવા અને તડકામાં સુકવવામાં આવે છે. ત્યારબાદ તેને આગમાં તપાવામાં આવે છે. પરિણામે તે શુદ્ધ હોય છે. ભારતીય સંસ્કૃતિમાં પાણીને જ પરબ્રહ્મ માનવામાં આવે છે, કારણ કે જળ જ તમામ જીવોની ઉત્પતિનું કેન્દ્ર છે.
'કરવા'નું પાણી અમૃત
જ્યારે માટીના 'કરવા'નું પૂજન કર્યા બાદ તેમાં મુકેલા પાણીને પી પતિ-પત્ની પોતાના સંબંધોની રક્ષા કરે છે, જો આ પાણી પતિ પોતાના હાથથી પત્નીને પીવડાવે તો તે અમૃત મનાય છે. આમ તો કેટલાક વિસ્તારોમાં સ્ત્રીઓ તાંબા, પીતળ અને ચાંદીના ઘટનો ઉપયોગ પણ કરે છે.
શિવ-ગૌરીની પૂજા
પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવ અને પાર્વતીને એક આદર્શ યુગલ કહેવાય છે. ચંદ્ર ભગવાન શિવના મસ્તક પર શોભે છે, જેને કારણે તેને અર્ધ્ય દેવાનો રિવાજ છે. આખો દિવસ વ્રત અને પૂજા બાદ સ્ત્રીઓ ચંદ્રનું પૂજન કરે છે. આમ કરવાથી સ્ત્રીમાં ધેર્ય આવે છે અને ચારણીમાંથી ચંદ્ર નિહાળવાની સાથે સાથે પતિને નિહાળે છે.