કુંડળીના પંચમભાવથી જાણો તમારું બાળક ભવિષ્યમાં શું બનશે?
દરેક વ્યક્તિ માટે સંસારની મહત્વની ઘટના છે કુટુંબમાં બાળકનો જન્મ થવો, જ્યોતિષ પ્રમાણે જાણો તમારા બાળકનું ભવિષ્ય.
વાલીઓ પોતાના બાળકનું ભવિષ્ય જાણવા માટે જમીન આસમાન એક કરી દે છે. તે પોતે ખૂબ મહેનત કરે છે કે તેમના બાળકો સારુ શિક્ષણ મેળવી પોતાના પગે ઉભી રહી શકે. બાળક ધીમે ધીમે આગળ વધે છે અને જ્યારે તે 10માં ધોરણ સુધી પહોંચે ત્યારે આપણે તેમને અનેક સલાહો આપીએ છીએ કે તેઓ તેમના વિષયોની યોગ્ય પસંદગી કરી શકે, અથવા તેમને કાઉન્સેલીંગ દ્વારા યોગ્ય વિષયમાં રસ જાગે તે માટે પ્રયત્ન કરીએ છીએ, પણ ઘણી વાર બાળક કંઈક જુદુ જ વિચારે છે.
આ અંગેની જાણકારી મેળવવામાં જ્યોતિષ પણ તમને મદદરૂપ થઈ શકે છે. જન્મ કુંડળીને આધારે જાણી શકાય છે કે, તમારુ સંતાન કયા ક્ષેત્રે કેરિયર બનાવશે. તે નોકરી કરશે કે કો બિઝનેસ કરશે. હાલમાં જ અનેક પરીક્ષાઓનું પરિણામ આવ્યુ છે. તેવામાં વાલીઓ અને બાળકો માટે કેરિયરને લગતી જ્યોતિષ જાણકારી મહત્વની સાબિત થઈ શકે છે. જન્મકુંડળીના આધારે શિક્ષણ અને રોજગાર વિશેની સ્પષ્ટ જાણકારી મેળવી શકાય છે.
કુંડળી અને શિક્ષણ
- જન્મકુંડળીના પંચમભાવથી શિક્ષણ વિશે જાણી શકાય છે. પંચમભાવ અને પંચમેશની સ્થિતિ જેટલી સારી, બાળકનું શિક્ષણ તેટલું જ સારુ. પંચમભાવમાં શુભ ગ્રહ હોય કે શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય, પંચમ શુભ ભાવમાં બેઠો હોય, પંચમ ભાવનો કારક ગ્રહ પણ પંચમભાવ કે કોઈ પણ કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તો બાળકનું શિક્ષણ પણ તેટલું જ ઉચ્ચ કક્ષાનું હોય છે. તેની વિરુધ્ધ જો પંચમભાવમાં પાપ ગ્રહ મજબૂત હોય, પંચમ ભાવ પાપ ગ્રહોથી ઘેરાયેલ હોય, પંચમેશ પાપ પ્રભાવમાં કે છઠ્ઠા, આઠમાં, 12માં ભાવમાં હોય તો વિદ્યામાં મુશ્કેલી આવે છે.
- જ્યોતિષ ગ્રંથો પ્રમાણે કોઈ પણ ભાવનો સ્વામી જો વ્યય ભાવમાં બેસી જાય તો તે ભાવના ગુણોની હાનિ થાય છે. તે જ રીતે જો પંચમભાવનો સ્વામી વ્યય ભાવ એટલે કે 12મા ભાવમાં બેસી જાય તો શિક્ષણમાં ઘટાડો થાય છે. જો કે શિક્ષણની વાત કરતા હોઈએ ત્યારે ગુરુની સ્થિતિ પણ જોઈ લેવી જોઈએ. જો પંચમભાવમાં ગુરુ ઉચ્ચ થઈ વક્રી થઈ ગયો હોય તો તેનું ઉચ્ચત્વ સમાપ્ત થઈ જાય છે અને તે સામાન્ય થઈ જાય છે.
વેપાર અને સર્વિસ યોગ
- કુંડળીના દશમ ભાવથી વેપાર અને નોકરી વિશે જાણી શકાય છે.
- દશમભાવમાં જે ગ્રહ હાજર હોય તેના સ્વભાવ પ્રમાણે વેપાર કરવાથી લાભ થાય છે. જો કોઈ ગ્રહ નથી તો દશમેશ પ્રમાણે વેપારની પસંદગી કરવી. જેમકે, જો દશમ ભાવમાં મંગળ છે તો વ્યક્તિ સાહસિક કામો કરશે. જેમકે, સેના, પોલીસમાં જશે અને જો વેપાર કરશે તો જમીન, સંપતિ, કૃષિના કાર્યોમાં લાભ મેળવશે. જો દશમેશ બુધ હોય તો વ્યક્તિ વેપારમાં લાભ ઉઠાવશે, પણ ગોચરમાં બુધ કયા ઘરમાં બેઠો છે તે જોવું પણ અત્યંત જરૂરી છે.
- બુધ વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. ભાગીદારીમાં વેપાર કરવો સપ્તમભાવ તથા સ્વતંત્ર વેપાર કરવો તે દશમ ભાવથી જાણી શકાય છે. બુધ, તેને લગતા ભાવ અને ભાવેશની સ્થિતિ અનુકૂળ રહેતા વેપારમાં લાભ થાય છે. દ્રિતિયેશ ભાવ તથા દ્રિતિયેશની સ્થિતિ સારી હોવી વધુ સારુ મનાય છે. બુધના દશમ ભાવથી સંબંધ વેપાર ક્ષેત્રે સફળતા અપાવે છે.
- નોકરીને લગતી જાણકારી સૂર્ય અને મંગળની સ્થિતિ જોઈ જાણી શકાય છે. દશમ ભાવમાં ઉચ્ચનો મંગળ હોય તો સારી નોકરી મળે છે. મંગળ બલી થઈ કોઈ પણ કેન્દ્ર કે ત્રિકોણમાં હોય, અષ્ટમભાવને છોડી મંગળ કોઈ પણ ભાવમાં હોય તો ઉત્તમ નોકરી મળે છે.
- દશમ ભાવમાં સૂર્ય કે ગુરુ ઉચ્ચ રાશિ, સ્વરાશિ કે મિત્ર ક્ષેત્રીય હોય તો જાતક નોકરીમાં ઉચ્ચ પદ મેળવે છે.