નવરાત્રીના બીજા દિવસે કરો માતા બ્રહ્મચારિણીની પૂજા
નવરાત્રીના બીજા દિવસે માં દુર્ગાના બીજા રૂપ માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે.માતા બ્રહ્મચારિણીની કરો પૂજા અને મેળવો ઇચ્છીત ફળ. આ અંગે વધુ વાંચો અહીં
21 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. જેમાં નવરાત્રીના નવે દિવસ માતા અંબાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે. જેમાં માતાનું પહેલુ રૂપ એટલે શૈલપુત્રી, બીજુ રૂપ એટલે ચંદ્ર ઘંટા, ચોથુ રૂપ એટલે કૂષ્માન્ડા, પાંચમું રૂપ એટલે સ્કંદમાતા, છઠ્ઠુ રૂપ એટલે કાત્યાયની, સાતમુ રૂપ એટલે કાલરાત્રી, આઠમું રૂપ એટલે મહાગૌરી, નવમું રૂપ એટલે સિદ્ધિ દાત્રી. આજે આપણે વાત કરીશુ માતાના બીજા રૂપ "બ્રહ્મચારિણી" વિશે.
નવરાત્રીનો બીજો દિવસ- માતા બ્રહ્મચારિણીનો
રૂપ-શાંત, સૌમ્ય અને મોહક
વસ્ત્ર-શ્વેત
હાથમાં- કમંડળ
પૂજા-મન સંયમિત રહે છે.
બ્રહ્મચારિણીનું સ્વરૂપ
નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ અત્યંત શાંત, સૌમ્ય અને મોહક છે. માતાના આ રૂપને પૂજવાથી વ્યક્તિ તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમ જેવા ગુણોની પ્રાપ્તિ કરે છે. જેથી તેને જીવન જીવવામાં મદદ મળે છે. બ્રહ્મચારિણી માતા શ્વેત વસ્ત્રો પહેરી જમણા હાથમાં કમંડળ લઈ સુશોભિત છે. પૌરાણિક કથા અનુસાર તે હિમાલયની પુત્રી હતી અને નારદના ઉપદેશ બાદ ભગવાનને પતિ રૂપે પામવા માટે તેમણે કઠોર તપસ્યા કરી હતી. જેથી તેમનું નામ બ્રહ્મચારિણી પડ્યુ.
બ્રહ્મચારિણી એટલે તપની ચારિણી
બ્રહ્મચારિણીનો અર્થ થાય છે તપ ચારિણી. એટલે કે તપનું આચરણ કરવાવાળી, પરિણામે જે લોકો તેમની પૂજા કરે છે. તેમને સાધક હોવાનું ફળ મળે છે. માતાનું પૂજન કરનારા જાતકોએ આ શ્લોકથી પૂજાની શરૂઆત કરવી જોઈએ. સદાચાર, સંયમ, ત્યાગ, વૈરાગ્ય જેવા ગુણો પ્રાપ્ત કરવા માતા બ્રહ્મચારિણીની પૂજા આ શ્લોક દ્વારા કરવી જોઈએ.
दधांना कर पहाभ्यामक्षमाला कमण्डलम।
देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा।।
કથા
પૂર્વજન્મમાં આ દેવીએ હિમાલય પુત્રીના રૂપે જન્મ લીધો હતો અને નારદજીના ઉપદેશથી ભગવાન શંકરને પતિના રૂપે પ્રાપ્ત કરવા માટે તેમણે ઘોર તપસ્યા કરી હતી. આ તપસ્યાને કારણે તેમને તપશ્ચારિણી અથવા બ્રહ્મચારિણીના નામથી અભિવાદિત કરવામાં આવ્યુ. એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળ-ફૂલ ખાઈ વિતાવ્યા અને સો વર્ષ સુધી માત્ર જમીન પર રહી જીવન ગાળ્યુ. કેટલાય દિવસો સુધી અઘરા ઉપવાસ રાખ્યા અને ખુલ્લા આકાશની નીચે વરસાદ અને તડકામાં તકલીફો સહી. ત્રણ હજાર વર્ષો સુધી તૂટેલા બીલી પત્ર ખાધા અને ભગવાન શંકરનીઆરાધના કરી. ત્યારબાદ તેમણે આ બીલીપત્ર ખાવાના પણ છોડી દીધા.
કથા
હજારો વર્ષો સુધી નિર્જળ અને નિરાહાર રહી તપસ્યા કરી. પાંદડા ખાવાનું છોડી દેવાને કારણે તેમનું નામ અપર્ણા પડ્યુ. અઘરી તપસ્યાને કારણે તેમનું શરીર એકદમ ક્ષિણ થઈ ગયુ. દેવો, ઋષિ, સિદ્ધગણ, મુનિ બધા જ બ્રહ્મચારિણીની તપસ્યાને અભૂતપૂર્વ પુણ્ય ગણવા લાગ્યા. તેમના વખાણ કર્યા અને કહ્યુ કે, દેવી આજ સુધી કોઈએ આ રીતે કઠોર તપસ્યા કરી નથી. આ માત્ર તમે જ કરી શકો છો. તમારી ઈચ્છા પૂરી થશે અને ભગવાન ચંદ્રમૌલિ શિવ તમને પતિ રૂપે પ્રાપ્ત થશે. આ તપસ્યા છોડી ઘરે જતા રહો. તમારા પિતા તમને જલ્દી જ બોલાવા આવી રહ્યા છે.
સર્વસિદ્ધિ પ્રાપ્તિ
માતા બ્રહ્મચારિણી દેવીની કૃપાથી સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ દેવીની કથાનો સાર એ છે કે જીવનમાં અનેક સંઘર્ષો રહેશે પણ તમારું મન ક્યારેય વિચલિત થવું જોઈએ નહિં. આ દેવીની પૂજા કરવાથી સંયમ, સદાચાર, ત્યાગ, વૈરાગ્ય જેવા ગુણોની પ્રાપ્તિ થાય છે.