દરેક અંક આપણા જીવન સાથે જોડાયેલો છે, કઇ રીતે? વાંચો અહીં.
આપણા જીવનમાં અંકોનું ઘણું મહત્વ છે. દરેક અંકનો એક અર્થ છે, શું? જાણો અહીં...
આપણા જીવનમાં અંકોનું પોતાનું એક મહત્વ છે. અંકોનું મહત્વ એટલું વધારે છે કે તેને આધારે વ્યક્તિનો સ્વભાવ, તેની આદતો, વિચારવા અને કામ કરવાની રીત સિવાય તેના ભાગ્ય વિશે પણ જાણી શકાય છે. હવે તો ન્યુમેરોલોજી એટલે કે અંકશાસ્ત્રની વિદ્યા પણ જનમાનસના મનમાં જગ્યા બનાવી ચૂકી છે અને અનેક લોકો અંકોની ગણના પર જ્યોતિષ શાસ્ત્રની જેમ વિશ્વાસ કરવા લાગ્યા છે. એટલું જ નહિં હવે તેને એક જાતના જ્યોતિષ શાસ્ત્રના રૂપે માન્યતા મળી ચૂકી છે. આમ તો અંકીય ગણનાનું આ ચલણ નવું નથી. હિંદુ શાસ્ત્રમાં પહેલેથી અંકોના ચમત્કારી અને સામાન્ય કરતા કંઈક અલગ અર્થ કાઢવામાં આવ્યા છે. આવો જાણીએ આ અંકોના અર્થ વિશે..
અંક: 1
હિંદુ શાસ્ત્રમાં અંક એક પરમશક્તિની એકતાનું પ્રતિક છે. આપણા શાસ્ત્રો પ્રમાણે હિંદુ ધર્મના અનેક ભાગ રહેવા છતાં પરમસત્તા એક જ મનાય છે.
અંક: 2
અંક 2 નો અર્થ દાર્શનિક છે. તેમાં આત્મા અને પરમાત્માના એકત્વનો મૂળમંત્ર ધ્વનિત થાય છે. હિંદુ ધર્મ પ્રમાણે ઈશ્વર અને જીવ મળીને સૃષ્ટિ બની છે. જીવ પરમાત્માનો જ એક ભાગ છે અને જીવન સંપૂર્ણ થયા બાદ તેમાં જ સમાઈ જાય છે.
અંક: 3
હિંદુ ધર્મમાં ત્રણ પ્રકારની પરિકલ્પના કરવામાં આવી છે. એટલે કે સૃષ્ટિને ત્રણ ભાગો કે લોકમાં વિભાજીત કરવામાં આવી છે. સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળ લોક.
અંક: 4
અંક ચારનો ધાર્મિક દ્રષ્ટિકોણ જણાવે છે કે, આપણે ત્યાં ચાર વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ ચાર વેદો જ ધર્મનો આધાર છે. એવું મનાય છે કે, તેની રચના કોઈ વ્યક્તિએ નથી કરી, પણ એક દિવ્યવાણીએ વિશિષ્ટ સિદ્ધ પુરૂષોને તેનું જ્ઞાન કરાવ્યું હતું. હિંદુ ધર્મની આચાર-વિચારની દરેક પરંપરા વેદો પ્રમાણે જ ચાલે છે.
અંક: 5
અંક પાંચ સૃષ્ટિના મૂળ તત્વો તરફ સંકેત કરે છે. આ પંચતત્વ આ પ્રમાણે છે: ધરતી, જળ, અગ્નિ, આકાશ અને પવન. એવું મનાય છે કે સંપૂર્ણ સૃષ્ટિનું નિર્માણ આ પાંચે તત્વોના મિલનથી થયું છે.
અંક: 6
આ અંક પ્રકૃતિની ઋતુઓનું પ્રતિક છે. એક વર્ષમાં કુલ 6 ઋતુઓ ગણાય છે. વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર.
અંક: 7
સાતનો સંબંધ સાત સુરો સાથે છે. આ સાત સુર છે: સા રે ગ મ પ ધ ની. આ જ રીતે સૂર્યની કિરણોમાં પણ સાત રંગ જોવા મળે છે.
અંક: 8
આઠ અંક દિવસના પહોર સાથે સંબંધ ધરાવે છે. વિજ્ઞાન પ્રમાણે એક દિવસ અને એક રાતમાં કુલ આઠ પહોર હોય છે.
અંક: 9
નવનો અર્થ નવધા ભક્તિથી લેવામાં આવ્યો છે. નવધા ભક્તિમાં નવ પ્રકારની સેવા નક્કી કરવામાં આવી છે. જે આ પ્રકારે છે: શ્રવણ, કિર્તન, સ્મરણ, પાદસેવા, અર્ચના, વંદના, મિત્ર, દાસત્વ અને આત્મનિવેદન.
અંક: 10
દસ અંકનો સંબંધ દસ દિશાઓ સાથે છે, જે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આકાશ, પાતાળ, નેઋત્ય, વાયવ્ય, ઈશાન અને અગ્નેય છે. આ જ રીતે દિગ્પાલ પણ 10 છે: ઈન્દ્ર, યમ, કુબેર, બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, નેઋત્ય અને પવન.