લગ્ન પછી હનીમૂન નહિ રામ મંદિર દર્શન કરાવવા લઈ ગયો પતિ, પત્નીએ મોકલી છૂટાછેડાની નોટિસ!
લગ્ન બાદ વિદેશમાં હનીમૂનનું સપનું જોતી પત્નીએ હવે પતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. તેણે તેના પતિને છૂટાછેડાની નોટિસ પણ મોકલી છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે તેનો પતિ અયોધ્યા અને વારાણસીની મુલાકાત લીધા બાદ નવવિવાહિત મહિલાને ઘરે લઈ આવ્યો.
મધ્યપ્રદેશના ભોપાલમાં રહેતી એક મહિલાએ લગ્નના આઠ મહિના બાદ છૂટાછેડા માટે અરજી કરી છે. કોર્ટમાં દલીલ કરવામાં આવી છે કે લગ્ન બાદથી તેના પતિ સાથે તાલમેલ નથી. મહિલાએ કહ્યું છે કે પતિ તેને હનીમૂન માટે ગોવાને બદલે તેના માતા-પિતા સાથે ઉત્તર પ્રદેશના વારાણસી અને અયોધ્યા લઈ ગયો હતો.

આ મામલાને લઈને ફેમિલી કોર્ટ મેરેજ કાઉન્સેલર શૈલ અવસ્થીએ ગુરુવારે (25 જાન્યુઆરી) કહ્યું કે છૂટાછેડાની અરજી હાલમાં કાઉન્સિલિંગના તબક્કામાં છે. મહિલા અને તેના પતિના સમાધાનના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મેરેજ કાઉન્સેલરના જણાવ્યા અનુસાર મહિલાના લગ્ન ગયા વર્ષે 3 મેના રોજ થયા હતા. લગ્ન બાદ તે વિદેશમાં હનીમૂન પર જવા માટે મક્કમ હતી. જ્યારે પતિ હનીમૂન માટે વિદેશ જવાના પક્ષમાં નથી.
વાસ્તવમાં, મહિલા એક ખાનગી કંપનીમાં કામ કરે છે અને તેનો પતિ આઈટી પ્રોફેશનલ છે. પતિએ પત્નીને જાણ કર્યા વિના જ અયોધ્યા અને વારાણસીની ફ્લાઈટ બુક કરાવી હતી. મહિલાને આ અંગેની જાણ ટ્રિપ પર જવાના એક દિવસ પહેલા જ થઈ હતી.
અહેવાલો અનુસાર, પતિએ તેની પત્નીને કહ્યું કે તેની માતા રામ મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા જવા માંગે છે. જો કે પહેલા તો મહિલાએ ટ્રીપ પર જવા સામે કોઈ વાંધો દર્શાવ્યો ન હતો, પરંતુ ઘરે પરત ફર્યા બાદ ઘરમાં ઝઘડો થયો હતો. બાદમાં મામલો એટલો વધી ગયો કે પત્નીએ પતિને છૂટાછેડાની નોટિસ મોકલી. તેની પાછળ મહિલાનો તર્ક છે કે પતિ તેના કરતાં તેના માતા-પિતાની વધુ કાળજી લે છે.












Click it and Unblock the Notifications
