તેજીના માર્કેટમાં રોકાણ કરતા સમયે યાદ રાખો આ 5 વાત
ભારતમાં લોકસભા ચૂંટણી 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણમાં સ્થિર સરકાર આવતા ભારતીય શેરબજારમાં તેજીની ચાલ જોવા મળી છે. વર્તમાન સમયમાં થોડો કરેક્શનનો માહોલ છે. જો કે માર્કેટ એક્સપર્ટ્સની ધારણા છે કે ડિસેમ્બર 2015માં માર્કેટ 31,000ની સપાટી વટાવી જશે. એટલે કે આવનારા સમયમાં એક વર્ષ સુધી માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી શકે છે.
માર્કેટમાં તેજીના સમયે લેવાલીનો પણ માહોલ જોવા મળે છે. તેજીમાં નફો રળી લેવાની વૃત્તિને નિયંત્રણમાં રાખીને રોકાણકાર આ પાંચ બાબતો ધ્યાનમાં રાખે તો તેને નુકસાન જવાની શક્યતા ઓછી રહે છે. આ પાંચ બાબતો કઇ છે તે આવો જોઇએ...

1. રોકાણ કરવામાં ઉતાવળિયા ના બનો
તેજીની ચાલ ચૂકી ગયા છતાં માર્કેટ વધશે અને નફો થશે તેવી ધારણાને પગલે ઘણા રોકાણકારો બજારમાં રોકાણ કરે છે. નિષ્ણાતોના મતે બજારમાં ઊંચા મથાળે એકસાથે મોટું રોકાણ કરવાની નીતિ યોગ્ય નથી. આવા રોકાણકારોને સલાહ છે કે રોકાણની રકમને જુદા જુદા એસેટ ક્લાસમાં વહેંચી દેવી જોઇએ.

2. એક સામટું રોકાણ ટાળો
માર્કેટની તેજી જોઇને ઉતાવળિયું રોકાણ કરવાને બદલે તમે ઇક્વિટીમાં રોકાણ શરૂ કરો ત્યારે તબક્કાવાર કરવું જોઇએ. હાલના તબક્કે લાંબા ગાળાનું રોકાણ જરૂરી છે.

3. બજારના વેલ્યુએશનના આધારે નિર્ણય ના લેશો
બજારનું વેલ્યુએશન સસ્તું નથી એ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. આગામી સમયમાં અર્થતંત્રમાં સુધારાની ધારણા છે છતાં તેની બજાર પર ઝડપી અને નોંધપાત્ર અસર નહીં થાય. અર્થતંત્રની ચાલ આગામી સમયમાં એકતરફી સુધારો દર્શાવશે.

4. રાતો રાત હીરો બનનારા શેર્સથી ચેતો
રોકાણકારોએ હાલ ઇક્વિટી પોર્ટફોલિયો બનાવતી વખતે નોંધપાત્ર ઉછાળો દર્શાવનારા શેરોથી દૂર રહેવું જોઈએ. સતત સારી નફાવૃદ્ધિ દર્શાવનારી કંપનીઓમાં રોકાણ કરવાની નીતિ લાભદાયી રહેશે. આવી કંપનીઓ મુખ્યત્વે લાર્જ-કેપ સેગમેન્ટમાં છે, જે મજબૂત મેનેજમેન્ટ અને નક્કર બેલેન્સશીટ ધરાવે છે.

5. કેવા શેર્સમાં રોકાણ ટાળવું જોઇએ?
ફેન્સી અથવા હાઈ બિટા શેરોમાં રોકાણ ટાળવું જોઈએ. કારણ કે તે ઝડપથી દબાણમાં આવી શકે. નિફ્ટીમાં સામેલ શેરોની પસંદગી યોગ્ય છે. આવા શેરોમાં ઘટાડાનું જોખમ પ્રમાણમાં ઓછું હોય છે. બજારની તેજીમાં રોકાણનું રૂપાંતર ડેટમાંથી ઇક્વિટીમાં ના કરો.












Click it and Unblock the Notifications
