કિંગફિશરની સંપત્તિઓ વેચી બેંકોએ 1000 કરોડ ફંડ મેળવ્યું
આ અંગે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે લેણદારોનું જૂથ આર્થિક કટોકટીમાં સપડાયેલી કિંગફિશર એરલાઈન્સ પાસેથી બાકી નીકળતા નાણાં વસુલ કરવાના પ્રયાસો કરી રહ્યું છે અને રૂપિયા 800થી 1000 કરોડ મેળવી પણ લીધા છે. એસબીઆઈના ચેરમેન પ્રતિપ ચૌધરીના જણાવ્યા મુજબ, કિંગફિશર એરલાઈન્સ પાસેથી નાણાં પાછા મેળવવાના પ્રયાસો ચાલુ જ છે. અમે પૂરતી રકમ રીકવર કરી છે. બેન્કોએ પાછી મેળવેલી રકમનો આંક રૂપિયા 800થી 1000 કરોડ થવા જાય છે.
એસબીઆઈની આગેવાનીમાં આ જૂથમાં 17 બેન્કો જોડાઈ છે. આ બેન્કોએ કિંગફિશર એરલાઈન્સ પાસેથી રૂપિયા 7000 કરોડથી વધારે રકમ લેવાની નીકળે છે. તેની પાસે યુનાઈટેડ સ્પિરીટ્સ જેવી લિસ્ટેડ કંપનીઓના શેર છે, જેનું મૂલ્ય રૂપિયા 500 કરોડ થવા જાય છે. તે ઉપરાંત લેણદારો પાસે સિક્યૂરિટી તરીકે બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
વિજય માલ્યાની માલિકીની એરલાઈન કંપનીમાં એસબીઆઈએ રૂપિયા 1600 કરોડનું મૂડીરોકાણ કર્યું છે. તે પછીના નંબરે આવે છે, પંજાબ નેશનલ બેન્ક (800 કરોડ), આઈડીબીઆઈ (800 કરોડ), બેન્ક ઓફ ઈન્ડિયા (650 કરોડ), બેન્ક ઓફ બરોડા (550 કરોડ). એસબીઆઈના ચૌધરીએ કહ્યું છે કે અમે લેવાની નીકળતી રકમ વસુલ કરવા કિંગફિશર એરલાઈન્સની બધી મિલકતો વેચી દઈશું. આમાં, કંપનીઓના શેરહોલ્ડિંગ, કંપનીઓની રિયલ એસ્ટેટ્સ, પર્સનલ એસેટ્સ વગેરેનો સમાવેશ થાય છે.