આર્થિક સર્વેક્ષણ: 2018-19માં વિકાસ દર 7થી 7.5% રહેવાનું અનુમાન
રાષ્ટ્રપતિના સંબોધન બાદ સસંદમાં બજેટ સત્ર શરૂ થઇ ગયું છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે સરકારની અનેક ઉપલબ્ધિઓ ગણાવી, તો કેટલીક નવી યોજનાઓ અંગે સરકારની નીતિઓ સદન સામે રજૂ કરી.
રાષ્ટ્રપતિના સંબોધન બાદ સસંદમાં બજેટ સત્ર શરૂ થઇ ગયું છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે સરકારની અનેક ઉપલબ્ધિઓ ગણાવી, તો કેટલીક નવી યોજનાઓ અંગે સરકારની નીતિઓ સદન સામે રજૂ કરી. રાષ્ટ્રપતિના સંબોધન બાદ નાણાં મંક્પી અરુણ જેટલીએ આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ સંસદમાં રજૂ કર્યો. આર્થિક સર્વેક્ષણ પરથી કહી શકાય કે, સરકારનો વિકાસકાર્યો ખૂબ આગળ વધશે. વિકાસ દર 7થી 7.5 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ઇકોનોમિક સર્વેમાં સરકારે કહ્યું કે, ઉત્પાદન પર સરકાર જોર કરશે. કપાત કરવામાં નહીં આવે અને ખર્ચો કરવામાં આવશે. આર્થિક સર્વેક્ષણમાં મોંઘવારી વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં વિકાસ દર 6.75 ટકા થઇ શકે છે. જીએસટી દ્વરા ટેક્સ ચૂકવનારાઓની સંખ્યામાં 50 ટકા વધારો થયો છે. મહારાષ્ટ્ર, યુપી, તમિલનાડુ અને ગુજરાતમાં સૌથી વધારે જીએસટી રજિસ્ટ્રેશન થયા છે.
કાચા તેલની કિંમત વધવાની ચિંતા વ્યક્ત થઇ છે. અનુમાન લગાવવામાં આવ્યું છે કે, કાચા તેલની કિંમતો 12 ટકા વધી શકે છે, જેને કારણે મોંઘવારી વધવાની શક્યતા છે. ઇકોનોમિક સર્વેમાં વ્યક્તિગત રોકાણમાં સુધારાના સંકેત છે. નિકાસમાં સુધારાની શક્યતા છે. ઇકોનોમિક સર્વેમાં સરકારે માન્યું છે કે, નાણાંકીય વર્ષ 2018-19માં આર્થિક પ્રબંધન થોડું મુશ્કિલ બનશે. વર્તમાન વર્ષમાં કૃષિ વિકાસ 2.1 ટકા રહેવાનું અનુમાન છે. નાણાંકીય વર્ષ 2017-18 માટે રાજકોષીય ખોટ 3.2 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. રેડીમેડ કપડાની નિકાસમાં પણ વૃદ્ધિ થઇ શકે છે.
શું છે આર્થિક સર્વેક્ષણ?
આર્થિક સર્વેક્ષણ રિપોર્ટમાં દેશની વર્તમાન આર્થિક સ્થિતિ દર્શાવવામાં આવે છે. આ સાથે જ સરકાર તરફથી ઉઠાવવામાં આવેલ પગલાઓ અને તેના પરિણામો પણ આ રિપોર્ટમાં રજૂ થાય છે. આ નાણાં વિભાગ તરફથી રજૂ કરવામાં આવતો અધિકૃત રિપોર્ટ હોય છે, જેને ઇકોનોમિક સર્વે પણ કહે છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવે છે કે, વર્ષ દરમિયાન વિકાસની પરિસ્થિતિ કેવી રહી, કઇ કઇ યોજનાઓ સરકારે લાગુ કરી, જે યોજનાઓ લાગુ કરવામાં આવી, તેના શું સંભાવિત પરિણામો આવી શકે છે, એનો ઉલ્લેખ પણ રિપોર્ટમાં હોય છે.