2000ની નોટનો સપ્લાય બંધ, હવે 500-200 પર આધાર
દેશમાં રોકડની અછત દૂર કરવા માટે રૂ.2000ની નોટનો સપ્લાય અટકાવી દેવાયો છે. રિઝર્વ બેન્કે આપેલી માહિતી મુજબ 2000ની નોટ હાલ બહાર નહીં પડાય.
દેશમાં રોકડની અછત દૂર કરવા માટે રૂ.2000ની નોટનો સપ્લાય અટકાવી દેવાયો છે. રિઝર્વ બેન્કે આપેલી માહિતી મુજબ 2000ની નોટ હાલ બહાર નહીં પડાય. કેશની અછત દૂર કરવા માટે 500 રૂપિયાની નોટનું છાપકામ ઝડપી બનાવી દેવાયું છે. રિપોર્ટ મુજબ 500 રૂપિયાની નોટનું છાપકામ પ્રતિ દિવસ 3000 કરોડ રૂપિયા સુધી વધારી દેવાયું છે.
હાલ રોકી દેવાઈ છે 2000ની નોટ
નોટબંધી બાદ દેશમાં પહેલી વખત 2000ની નોટનું છાપકામ શરૂ થયું હતું. પરંતુ તેના 17 મહિના બાદ જ 2000 રૂપિયાની નોટનો સપ્લાય ‘થોડા સમય' માટે બંધ કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે નોટબંધી સમયે જ વિશેષજ્ઞોએ સરકાર 2000ની નોટનું છાપકામ બંધ કરીને માત્ર 100ની નોટ સુધી લાવે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
500-200ની નોટ પર આધાર
આર્થિક મામલાના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગના નિવેદન મુજબ ભારતમાં 500, 200 અને 100 રૂપિયાની નોટની લેવડદેવડ સરળ છે. વધારાની માગ પૂરી કરવા માટે 500 રૂપિયાની નોટનું છાપકામ પ્રતિ દિવસ 3 હજાર કરોડ રૂપિયા સુધી વધારી દેવાયું છે. ગર્ગે જણાવ્યું છે કે દેશમાં કેશની સ્થિતિ ઘણી જ સારી છે, અને વધારાની માગ પણ પૂરી થઈ રહી છે. આ પહેલા પણ સચિવ સુભાષ ગર્ગે 2 હજારની નોટનો સપ્લાય કેટલાક સમય માટે બંધ કરવાની માહિતી આપી હતી.
5 ગણું થશે છાપકામ
ગર્ગના નિવેદન મુજબ કેન્દ્ર સરકાર 500 રૂપિયાની નોટનો સપ્લાય વધારી રહી છે. દેશમાં આગામી મહિનાઓમાં 500ની નોટનો જથ્થો 5 ગણો વધી જશે. આર્થિક સચિવે આ બાબતે માહિતી આપતા કહ્યું છે કે અત્યાર સુધી પ્રતિ દિવસ 500ની નોટનું 500 કરોડના મૂલ્ય સુધી ઉત્પાદન થતું હતું, જેમાં 2500 કરોડના મૂલ્યનો વધારો કરાયો છે.
તો શું 200ની નોટ હશે સૌથી મોટી કરંસી !
નિષ્ણાતોએ અનુમાન લગાવ્યુ હતું કે મોદી સરકાર 2 હજાર અને 500ની નોટ રદ કરી નાખશે, અને માત્ર 200 રૂપિયાની નોટ સૌથી મોટી કરંસી બની જશે. સરકારનો આશય છે કે આવી રીતે ભ્રષ્ટાચાર અટકાવી શકાશે. અમેરિકા અને તમામ યુરોપીય દેશોમાં નાની કરંસી જ ચલણમાં છે. અમેરિકામાં 100 ડૉલરની નોટ સૌથી મોટી કરંસી છે, તો ઈંગ્લેન્ડમાં 50 પાઉન્ડની નોટ સૌથી મોટી કરંસી છે.