ફ્લિપકાર્ટની વેચાણ ઓફર્સ અંગે ફરિયાદો મળી : નિર્મલા સીતારમણ
નવી દિલ્હી, 8 ઓક્ટોબર : ઓનલાઇન શોપિંગ સાઇટ ફ્લિપકાર્ટ દ્વારા સોમવારે સવારે 8 વાગ્યાથી વિવિધ પ્રોડક્ટ્સ પર આપવામાં આવેલી ભારેખમ છૂટછાટને પગલે છુટક વેપારીઓએ આ અંગેની ફરિયાદ કરી છે કે ઓનલાઇન સાઇટ્સ તેમનો ધંધો છીનવી રહી છે.
આ ફરિયાદ બાદ આજે બુધવારે સરકારે જણાવ્યું છે કે તે રિટેલ વેપારીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અંગે ગંભીરતાથી વિચારશે અને એ પણ જોશે કે શું ઇ-કોમર્સના છુટક વેપાર અંગે વધારે સ્પષ્ટતા કરવાની જરૂર છે?
નોંધનીય છે કે ફ્લિપકાર્ટ તરફથી સોમવારે 'બિગ બિલિયન ડે' સેલ દરમિયાન વિવિધ ઉત્પાદનો પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. આ કારણે નાના મોટા છુટક વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે આ પ્રકારના અભિયાનથી પરંપરાગત છુટક બજારને ખરાબ રીતે અસર થઇ રહી છે.

આ અંગે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે અમને આ અંગે ઘણી ફરિયાદો મળી છે. અનેક લોકોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. અમે આ અંગે વિચાર કરીશું.
આ ફરિયાદોને પગલે શું સરકાર ઇ-કોમર્સ રિટેલ ક્ષેત્ર માટે કોઇ ખાસ નીતિની રચના કરવા અંગે વિચારી રહી છે તેવા પ્રશ્નના જવાબમાં સીતારમણે જણાવ્યું કે અમે આ બાબતને જોઇ રહ્યા છીએ. આ અંગે અમને ઘણી ફરિયાદો મળી રહી છે. અમે આ મુદ્દાનો અભ્યાસ કરીશું. આ માટે કોઇ અલગ નીતિની જરૂર છે કે નહીં તે અંગે પણ વિચાર કરવામાં આવશે.
નોંધનીય છે કે હાલના સમયમાં અનેક ઇ-કોમર્સ પોર્ટલ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ફ્લિપકાર્ટે એક નિવેદનમાં જણાવ્યું છે કે બિગ બિલિયન ડે' સેલના દિવસે તેમની સાઇટ પર અંદાજે 15 લાખ લોકોએ ખરીદી કરી છે. આ કારણે તેણે માત્ર 10 કલાકમાં જ રૂપિયા 600 કરોડનો માલ વેચ્યો છે.
આ પહેલા આ સપ્તાહમાં જ વેપારીઓના અગ્રણી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેંટ) દ્વારા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીને ઓનલાઇન વેપાર પર નજર રાખવા અને નિયંત્રણ રાખવા માટે પગલાં લેવાની માંગ કરી હતી.












Click it and Unblock the Notifications
