દિલ્હી ચૂંટણી : કોનો કક્કો ખરો કરશે મતદારો, મોદી કે કેજરીવાલ?
નવી દિલ્હી, 13 જાન્યુઆરી : દિલ્હીમાં ફેબ્રુઆરી મહિનાના પ્રારંભમાં વિધાનસભાની ચૂંટણીઓ થવા જઇ રહી છે. દિલ્હીમાં 7 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે ત્યારે દિલ્હીની ગાદી પર કોણ બિરાજશે તે માટેનું રણશિંગૂ અત્યારથી ફૂંકાઇ ગયું છે.
વર્ષ 2013ના અંતમાં થયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના ટેકાથી 49 દિવસની સરકાર બનાવી હતી એ પછી ગૃહમાં લોકપાલ બિલ મંજૂર ન થતાં અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધુ હતું.
ત્યાર પછી સૌનું ફોકસ લોકસભા ચૂંટણીઓ પર સ્થિર થયું. લોકસભાની ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવ્યો હતો અને સાતેય બેઠકો જીતીને તમામ વિપક્ષોને મોટો આંચકો આપ્યો હતો.
બીજી તરફ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ કેજરીવાલની લોકપ્રિયતા ઓછી થઇ ગઇ હોય તેમ લાગી રહ્યું છે. ઓપિનિયન પોલ્સમાં ભાજપના વિજયની આગાહી કરાવામાં આવી રહી છે, ત્યારે તેઓ એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ મુખ્યમંત્રીની રેસમાં આગળ છે.
આપ દિલ્હીમાં ગત વિધાનસભાની ચૂંટણીના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકશે કે તેને ગત લોકસભાની જેમ પરાજયની ઝાપટ ખાવી પડશે ? તે અંગે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. બીજી તરફ તાજેતરમાં થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓંમાં ભાજપને માર પડ્યો છે ત્યારે મોદીની લોકપ્રિયતાના દાવાઓ કેટલા ખરા છે તે પ્રશ્ન ઉભો થયો છે.
આ વખતે પણ કેજરીવાલ એન્ડ કંપની ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાદુને ટક્કર આપવી પડશે. આમ છેવટે વાત આવીને મતદારોના નિર્ણય પર અટકી જાય છે. મતદારો ચૂંટણીઓમાં કોનો કક્કો ખરો કરશે અને કોનો કક્કો ખોટો પાડશે? દિલ્હીમાં કઇ પાર્ટીની સ્થિતિ કેવી છે તે જાણવા આગળ ક્લિક કરો...

દેશમાં ભાજપ સૌથી સફળ પાર્ટી બની
ભાજપ માટે ગત વર્ષ રોલર કોસ્ટર જેવું રહ્યું હતું. છતાં, મોટાભાગે તેને સફળતા જ હાથ લાગી છે. મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં સરકાર બનાવી તેણે બતાવી આપ્યું કે હજુ તેની લોકપ્રિયતા યથાવત રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં તે બીજા ક્રમની સૌથી સફળ પાર્ટી બની ગઇ હતી. હાલમાં તે આઠ મહિના અગાઉ હતી તેની સરખામણીએ વધુ મજબૂત પાર્ટી બની ગઇ છે.

દેશમાં ભાજપનું વર્ચસ્વ વધ્યું
દેશમાં ભાજપની સ્થિતિ જોઇએ તો તેનું શાસન 11 રાજયોમાં છે. એમાં આઠ રાજ્યોમાં ભાજપના જ મુખ્યમંત્રીઓ છે. જયારે ત્રણમાં તેણે સાથીઓ સાથે સરકાર રચી છે. આ દેશમાં તેનું અત્યાર સુધીનું સૌથી સારામાં સારૂં પ્રદર્શન છે.

ભાજપની સામ, દામ, દંડ અને ભેદની કમાલ
ભાજપે દિલ્હીમાં ચૂંટણીમાં વિલંબની યુકિતઓ સારી રીતે રમી જાણી છે અને ચાર રાજયોમાં ચૂંટણીઓ યોજાઇ ત્યાં સુધી તેણે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન ખેંચી રાખ્યું હતું. આ પ્રયુકિતને કારણે 'આપ'ને ભારે હતાશા સાંપડી છે. કેજરીવાલે ચાર રાજયોની સાથે જ દિલ્હીમાં ચૂંટણી કરાવવા માગતા હતા. તેઓ સારી રીતે જાણતા હતાં કે દિલ્હીમાં ચૂંટણી વિલંબમાં જશે તો તેને નુકસાન થવાની શકયતા છે. આ સમયગાળામાં સરકાર મતદારોને એ સમજાવી શકી છે કે કેન્દ્ર અને રાજયોમાં એક જ પક્ષની સરકાર રહેશે તો તંત્ર સારી રીતે ચાલશે.

કોંગ્રેસના કાળનો આથમતો સૂરજ
ભાજપ અને આપ સિવાય વાત કરીએ તો દિલ્હીમાં કોંગ્રેસ માટે ટુજી, કોલસા સહિતના ભ્રષ્ટાચાર સહિતના મુદાઓ નડતરૂપ બન્યા હતાં અને હજી પણ બનશે જ. આ સાથે તેનું નેતૃત્વ હતાથામાં ગરકાવ થયું હોવાથી સારી સટ્રેટેજીનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે મુખ્ય લડત ભાજપ અને આપ વચ્ચે રહેશે.

સ્વચ્છ છબીનો ફાયદો કોને?
હાલમાં મોદી અને કેજરીવાલ દિલ્હીમાં એકબીજાને પડકારી શકે તેવી સ્થિતિમાં છે. બન્ને નેતાઓ સ્વચ્છ, ઇમાનદારની ઇમેજ ધરાવે છે અને તેઓ જ લોકોને વિકલ્પ પૂરો પાડે છે. આ મુજબ દિલ્હીવાસીઓ કયા માપદંડોને અનુસરીને આપ કે ભાજપમાંથી પસંદગી કરે છે એ હવે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં જ જોવાનું રહેશે.












Click it and Unblock the Notifications
