FIIsની સતત 9મા સેશનમાં વેચવાલી, ભારતમાં 1 બિલિયન ડોલરનું વેચાણ
મુંબઇ, 22 ડિસેમ્બર : ભારતીય બજારમાં એફઆઇઆઇએ બે સપ્તાહમાં લગભગ રૂપિયા 6,500 કરોડની વેચવાલી કરી છે. અગ્રણી બ્રોકિંગ કંપનીઓ તાજેતરના ઘટાડાને પ્રોફિટ બુકિંગ ગણાવે છે. નિષ્ણાતોના મતે ભારત સાથે અન્ય બજારો પણ ઘટ્યાં છે અને તે કેટલાંક હેજ ફંડ્સની વેચવાલીનો ભાગ છે.
માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે સ્થાનિક બજારમાં જોરદાર તેજી પછી વિદેશી રોકાણકારોએ નફો બુક કર્યો છે અને આગામી વર્ષના પ્રારંભે તેઓ ફરી ભારતીય બજારમાં રોકાણ કરવા સક્રિય છે. માટે ટૂંકા ગાળાના ઘટાડાથી ચિંતિત થવું જોઇએ નહીં. ચાલુ વર્ષે પ્રોફિટ બુકિંગ અપેક્ષિત હતું. આગામી વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં વિદેશી રોકાણ ફરી શરૂ થવાની ધારણા છે.
છેલ્લા બે દિવસમાં બજારે તાજેતરનું ઘણું નુકસાન સરભર કરી લીધું છે, પરંતુ આ ગાળામાં એફઆઇઆઇ વેચવાલી રહી છે. બજારને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદીએ રાહત આપી છે, પરંતુ એફઆઇઆઇની વેચવાલી પણ મુખ્યત્વે હેજ ફંડ્સની છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ડિસેમ્બરમાં એફઆઇઆઇની વેચવાલીનો મોટો હિસ્સો હેજ ફંડ્સનો રહ્યો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલમાં મોટા ઘટાડાને લીધે નુકસાન વેઠનારાં ઘણાં હેજ ફંડ્સને ઊભરતાં બજારોમાં વેચવાલીની ફરજ પડી છે. આ હેજ ફંડ્સ માત્ર ભારત નહીં, તમામ ઊભરતાં બજારોના શેર વેચી રહ્યા છે, જે રાહતની વાત છે. ક્રૂડની ચિંતા દૂર થયા પછી બજેટ પહેલાં એફઆઇઆઇનો રોકાણપ્રવાહ ફરી શરૂ થશે.
ચાલુ નાણાકીય વર્ષે સેન્સેક્સ 32 ટકા વધ્યો છે. એફઆઇઆઇએ ભારતીય બજારમાં 16.5 અબજ ડોલરનું રોકાણ કર્યું છે, 2013માં તેમનું રોકાણ 20 અબજ ડોલર અને 2012માં 24 અબજ ડોલર હતું.