5 કારણો : સેન્સેક્સ ક્રેશ થઇ માર્ચ 2014માં 17000 કેમ પહોંચશે?
ભારતીય શેર માર્કેટના ઇન્ડેક્સ સેન્સેક્સની વાત કરીએ તો 22 મે, 2013ના રોજથી જે તેમાં ઘટાડાનું વલણ શરૂ થઇ ગયું છે. રૂપિયાના અવમૂલ્યનની સાથે તેમાં ઘટાડાનું વલણ વધ્યું હતું. ફેડ રિઝર્વ દ્વારા રાહત ચાલુ રાખવાના નિર્ણયને પગલે સેન્સેક્સમાં સુધારો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ નોંધપાત્ર વધારા સાથે વધ્યો હતો. માર્કેટમાં અત્યાર સુધીમાં જોવા મળેલા વધારા ઘટાડાના વલણને જોઇએ અને છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સમા કુલ કેટલો વધારો થયો તો જોઇએ તો સેન્સેક્સ માંડ 2 ટકા જેટલો જ વધ્યો છે.
આ સ્થિતિમાં માર્કેટના રોકાણકારોને આંચકો લાગે તેવી વાત આવી છે. માર્કેટના વિશ્લેષકોનું અનુમાન છે કે માર્કેટમાં ફરી ઉંધા માથે પછડાવાનો દોર થરૂ થવાનો છે. એટલે કે માર્કેટમાં ફરી નકારાત્મક વલણ જોવા મળશે અને માર્ચ 2014 સુધીમાં માર્કેટમાં અંદાજે 15 ટકા સુધીનો ઘટાડો જોવા મળી શકે. માર્કેટના વિશ્લેષકો કહે છે કે સેન્સેક્સ માર્ચ 2014 સુધીમાં 17000ની નીચી સપાટી સુધી પહોંચી જઇ શકે છે. આ માટે કયા પાંચ કારણો જવાબદાર હશે તે આવો જાણીએ...

આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો
છેલ્લા બે ત્રણ વર્ષમાં ભારતનો જીડીપી 9 ટકાથી ઘટીને 4.5 ટકા સુધી પહોંચી ગયો છે. આમ છતાં માર્કેટમાં ઘણી સકારાત્મકતા જોવા મળી છે. તેમાં રહેલી વધારે પડતી તરલતાને કારણે સેન્સેક્સમાં વધારો થયો છે પણ આ સ્થિતિને પગલે તે માર્ચ 2014 સુધીમાં નીચે પટકાઇને 17000ની સપાટીએ પહોંચી શકે છે. માર્કેટનો અન્ય સૂચકઆંક 50 શેરનો નિફ્ટી પણ માર્ચ 2014 સુધીમાં 5,000થી 4,900નું તળિયું જોઇ શકે છે.

વિદેશીઓની વિશ્વસનીયતા પર કેટલો ભરોસો?
ભારતીય શેરમાર્કેટ હંમેશાથી વિદેશી રોકાણકારોના રોકાણ પર તાતાથૈયા કરતું આવ્યું છે. જ્યારે પણ વિદેશી રોકાણની વાત આવે ત્યારે દરેક દેશની સરકાર ભારતને આર્થિક રોકાણ માટે યોગ્ય હોવાનું ગાણું ગાતી આવી છે. વર્તમાન સ્થિતિમાં ભારતમાં આર્થિક વૃદ્ધિ ઘટતા વિદેશી રોકાણકારોનો ફાયદો ઘટ્યો છે. જેના કારણે ભારતીય ઇક્વિટીમાં તેમનું રોકાણ પણ ઘટ્યું છે. તેમાં પણ ભારતીય રૂપિયાના અવમૂલ્યનને પગલે ડોલરમાં નફો વધતા રોકાણ તે તરફ ખેંચાયું છે. તેથી સેન્સેક્સમાં ઘટાડો થઇ શકે છે.

સરકારી ખર્ચા બાપ રે બાપ
ભારત માટે ચિંતા કરવા લાયક એક નહીં અનેક મુદ્દા છે. તેમાથી સૌથી મોટો મુદ્દે તેની કથળતી જતી આર્થિક સ્થિતિ છે. સરકારે તો આશ્વાસનનો શ્વાસ આપ્યો છે કે ચાલુ નાણાકીય વર્ષમાં દેશની નાણાકીય ખાધ ઘટાડીને જીડીપીના 4.8 ટકા સુધી લાવી દઇશું પણ આવી રહેલા ઇલેક્શનને જોતા તેમ કરવું વાસ્તવિક રીતે અશક્ય છે. જેની સીધી અસર માર્કેટ પર થશે.

રૂપિયાની અસ્થિરતા જોખમી
છેલ્લા કેટલાક દિવસોમાં રૂપિયામાં સુધારો જોવા મળ્યો છે ખરો. આમ છતાં રૂપિયો હજી પણ અસ્થિર છે. હજી પણ તે 62 રૂપિયા પ્રતિ ડોલરની સપાટીની આસપાસ ટ્રેડ થઇ રહ્યો છે. ભારતની વેપાર ખાધ સોનાની ઘટેલી આયાતને કારણે ઓછી તો થઇ છે પણ તહેવારની સીઝનમાં તેમાં ફરી વધારો થઇ શકે છે અને રૂપિયાની સ્થિતિ ફરી ડગમગી શકે છે. રૂપિયોના વજનમાં ઘટાડો માર્કેટ માટે ભારે પડી શકે છે.

સ્ટોક્સની કિંમતમાં વધારો
સ્ટોકની કિંમતોમાં મોટો વધારો થયો છે. જેમ કે કન્ઝ્યુમર્સ સ્ટેપલ્સમાં 35 ગણો, ફાર્મામાં 18થી 22 ગણો, બ્લયુ ચીપ શેર્સ જેવા કે એચયુએલ અને એચડીએફસીમાં પણ લગભગ તેટલા ગણો વધારો નોંધાયો છે. જે રોકાણકારો માટે રોકાણ કરવા જોખમી છે. જેના કારણે રોકાણ ઘટે અને માર્કેટમાં ઘટાડો થઇ શકે છે.












Click it and Unblock the Notifications
