સરકાર ખાંડ પરની ઇમ્પોર્ટ ડ્યુટી વધારશે : રામવિલાસ પાસવાન
નવી દિલ્હી, 23 જૂન : આજે કેન્દ્રીય ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું છે કે સરકાર ખાંડ પરની ઇમ્પોર્ટ ડ્યુટી 15 ટકાથી વધારીને 40 ટકા કરશે.
પાસવાનનું કહેવું છે કે સરકાર રોકડ સંકટથી ઝઝુમી રહેલી ખાંડ મિલોને રૂપિયા 4400 કરોડનું વધારાનું વ્યાજ-મુક્ત ધિરાણ આપશે. જેથી શેરડીના ખેડૂતોના રૂપિયા 11,000ની બાકી રકમની ચૂકવણી કરી શકાશે. પાસવાને જણાવ્યું કે સરકાર આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં 3300 રૂપિયા પ્રતિ ટનની નિકાસની સબસિડી આપશે. ખાંડ કંપનીઓને રાહત ત્યારે જ મળશે જ્યારે તેઓ શેરડી પકવતા ખેડૂતોને બાકી રહેલા રૂપિયા 11,000 કરોડની ચૂકવણી કરશે.
માહિતગારોનું કહેવું છે કે ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાના નિર્ણયથી ખાંડ સેક્ટરને રાહત મળશે. ખાંડ કંપનીઓ ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાની માંગ ઘણા સમયથી કરી રહી હતી. એક્સપોર્ટ પર મળનારી રાહતોને વર્ષ 2015 સુધી વધારવામાં આવે તો કંપનીઓને વધારે ફાયદો મળ્યો હોત. જો કે આ સાથે નવી સરકારના પગલાથી ખુશી પણ છે. વાસ્તવમાં ખાંડ કંપનીઓના વધી રહેલા બોજને ખતમ કરવા માટે ખાંડ કંપનીઓની કિંમતોમાં પણ વધારો જરૂરી છે.