સોનાના ઘરેણાઓ પરના હોલમાર્કને કાયદેસર માન્યતા મળશે
નવી દિલ્હી, 2 ડિસેમ્બર : ભારતમાં સોનાનાં આભૂષણોની ગુણવત્તાની ખાતરી આપવા માટે હોલમાર્ક યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાને આશરે 15 વર્ષ પૂરા થવા આવ્યા છે. હવે સરકાર જાગી છે અને હવે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ)માં સુધારો કરીને તેને કાયદેસર માન્યતા આપવાનું આયોજન ધરાવે છે. પરંતુ આ પ્રક્રિયાને ફરજિયાત બનાવવા અંગે નિર્ણય કરવાનો હજુ બાકી છે.
બીઆઇએસ એક્ટ 1986માં સુધારો કરવાના મુદ્દે સ્ટેકહોલ્ડર્સ સાથેની બેઠકમાં ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને આજે સોનાનાં આભૂષણોની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રીય માપદંડ નક્કી કરતી સંસ્થા બીઆઇએસની હાલની કામગીરી સામે પાસવાને સવાલ કર્યા હતા. બીઆઇએસ નવ કેરેટ જેવી નીચી ગુણવત્તા ધરાવતા સોનાની ગુણવત્તાને સર્ટિફાઇ કરે છે.
પાસવાને બીઆઇએસને એ બાબતની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો કે જ્વેલર્સ વેચાણ વખતે કેરેટના સંદર્ભમાં સોનાની ગુણવત્તા જાહેર કરે છે કે નહીં. તેમણે સોનાનાં આભૂષણોના વિવિધ ગ્રેડમાં ભાવની પ્રક્રિયાની ચકાસણી કરવા પણ જણાવ્યું હતું.
પાસવાને બીઆઇએસના અધિકારીઓને આ અંગે એક અહેવાલ સોંપવા આદેશ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 'મેં ફક્ત 18-24 કેરેટ સોના અંગે જ સાંભળ્યું હતું. મને નવ કેરેટના સોનાની જાણકારી ન હતી. દુકાનોમાં અલગ અલગ કેરેટના સોના માટે અલગ પ્રકારનો દર ચાલે છે?'
આ મુદ્દે ગ્રાહક બાબતોના મંત્રાલયના સચિવ કેશવ દેસીરાજુએ જ્યારે એવો ખુલાસો કરવાનો પ્રયાસ કર્યો કે બીઆઇએસ સોનાની ગુણવત્તા માટે ફક્ત સર્ટિફાઇંગ એજન્સી છે ત્યારે પાસવાને તેમને જણાવ્યું કે, તેઓ એવા ખાતાના સચિવ છે જે ગ્રાહકોના રક્ષણ માટે જવાબદાર છે.
પાસવાને જણાવ્યું હતું કે, મંત્રાલયને એવી ભલામણો મળી હતી કે બીઆઇએસે ફક્ત 18થી 24 કેરેટના સોનાનાં આભૂષણોને જ સર્ટિફાય કરવા જોઈએ. તેમના કહેવા પ્રમાણે બીઆઇએસનો અહેવાલ મેળવ્યા બાદ તેના માટે વિચારણા થઈ શકે.
તેમણે નોંધ્યું હતું કે, ગ્રાહકોમાં સોનાના હોલમાર્કિંગ અંગે ઘણી ઓછી જાગૃતિ છે. તેમણે જણાવ્યું કે, બીઆઇએસ એક્ટમાં સુધારા દ્વારા અમે સોનાના હોલમાર્કિંગને કાયદાનું સ્વરૂપ આપવા માંગીએ છીએ, પરંતુ તે એક સ્વૈચ્છિક ધોરણ બની રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, સોનાનાં આભૂષણો પર હોલમાર્કિંગને ફરજિયાત કરવા માટે હજુ સુધી નિર્ણય કરવામાં આવ્યો નથી.
ગ્રાહકોને સોનાનાં આભૂષણોની શુદ્ધતા અંગે ખાતરી અપાવવા એપ્રિલ 2000માં સોનાનાં આભૂષણો માટે હોલમાર્કિંગની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ જ્વલરે તેની જ્વેલરીને હોલમાર્ક્ડ કરવા માટે બીઆઇએસ પાસેથી લાઇસન્સ મેળવવું પડે છે. બીઆઇએસ દ્વારા માન્યતાપ્રાપ્ત કોઈ પણ હોલમાર્કિંગ કેન્દ્રમાં હોલમાર્ક મુકાવી શકાય છે. પાસવાને જણાવ્યું હતું કે સરકાર આ ધોરણો સાથે કોઈ બાંધછોડ કર્યા વગર સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવા માંગે છે.