આર્થિક સર્વે 2013-14ની હાઇલાઇટ્સ
નવી દિલ્હી, 9 જુલાઇ : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનાં પ્રથમ બજેટનાં એક દિવસ પહેલા નાણાં મંત્રી અરૂણ જેટલીએ આજે લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. આ ઇકોનોમિક સર્વેમાં જણાવ્યા મુજબ વર્ષ 2014-15માં વિકાસ દર 5.4 ટકાથી 5.9 ટકા જેટલો રહેવાની સંભાવના છે. આ સાથે જ નબળા ચોમાસાએ સરકાર માટે એક મોટો પડકાર ઉભો કર્યાનું સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે.
આ વાર્ષિક અહેવાલ નાણાં મંત્રાલયમાં વરિષ્ઠ આર્થિક સલાહકાર તરીકે એપ્રિલ મહિનામાં નિમણૂંક કરવામાં આવેલા ઇલા પટનાયકે તૈયાર કર્યો છે.
સરકારની નાણાંકીય હાલત પણ હાલ કફોડી હોવાની વાત સર્વેમાં ટાંકવામાં આવી છે. ભારતની સતત વધી રહેલ રાજકોષીય ખાદ્ય પર નિયંત્રણ મેળવવા માટે સબસિડીઓ ઘટાડવાની અને કર માળખાનું વિસ્તરણ કરવાની ભલામણ કરવામાં આવી છે.
આર્થિક સર્વેક્ષણ અનુસાર ચાલુ વર્ષથી લઇને માર્ચ 2015 સુધી જેટલી કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) સામે નિયત બજેટ ખાદ્યને 4.3થી 4.5 ટકા થશે તેવું ઘણાં અર્થશાસ્ત્રીઓનું અનુમાન છે. પૂર્વ સરકારે જીડીપીનાં 4.1 ટકા જેટલું ખાદ્ય લક્ષ્યાંક રાખ્યું હતું જેને ઘણાં અર્થશાસ્ત્રીઓએ અવાસ્તવિક ગણાવ્યું હતું કારણકે નાણાંકીય વર્ષનાં ત્રણ મહિનાની અંદર જ ખાદ્ય તેની અડધોઅડધ સુધી પહોંચી ગઇ છે.
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2013-14માં કૃષિ અને તેનાં સંબંધિત ક્ષેત્રોમાં વિકાસ દર 4.7 રહયો છે. ગત બે વર્ષથી સતત એટલે કે 2012-13 અને 2013-14માં ભારતનો વિકાસ દર 5 ટકાથી નીચે રહયો છે.
આર્થિક સર્વેક્ષણ અનુસાર દેશમાં લાંબા સમય માટે રોકાણને પ્રોત્સાહન આપવું પડશે. આવનારા બે વર્ષમાં કોઇપણ પ્રકારે રાજકોષીય ખાદ્યને ઘટાડવાની સરકારની પ્રાથમિકતા રહેશે. બેલેન્સ ઓફ પેમેન્ટમાં ખૂબ સુધારો દેખાણો છે અને તેને જારી રાખવાનો બહુ મોટો પડકાર રહેશે.
સાથે જ આર્થિક સર્વેક્ષણમાં નાણાં મંત્રીએ કહયું છે કે મોંઘવારી ઓછી થઇ છે પણ હજુ પણ અનુમાન કરતાં વધારે છે. આ વર્ષે અલ-નીનોને લીધે પણ ચિંતા વધી છે. ઉંચી મોંઘવારીને કારણે આરબીઆઇનાં વ્યાજ દર ઘટવાની શકયતા બહુ જ ઓછી છે.
આર્થિક સર્વેક્ષણમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે મનરેગા, રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન (એનઆરએચએમ) અને સર્વ શિક્ષા અભિયાન (એસએસએ) જેવી યોજનાઓમાં સુધારા કરવા જરૂરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રજા સુધી આ યોજનાઓ પહોંચાડવા માટેની ડિલીવરી પ્રક્રિયા નબળી હોવાને કારણે વિવિધ યોજનાઓ માટે ફાળવવામાં આવેલ રકમનો યોગ્ય ઉપયોગ નથી થઇ રહયો.
વર્ષ 2012-13ની સરખામણીએ દેશમાં દૂધનું ઉત્પાદન 13.243 કરોડ ટનનાં રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. દૂધાળા પશુઓની સંખ્યામાં પણ વધારો થયો છે. વૈશ્વિક દુધ ઉત્પાદનમાં ભારત 17 ટકા ફાળો નોંધાવીને પ્રથમ સ્થાન પર છે. રાષ્ટ્રીય ડેરી યોજનાનો પ્રથમ તબકકો માર્ચ 2012માં શરૂ થયો હતો.
ભારત સાથે જળચર ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરે હોવાનું જેટલીએ જણાવ્યું હતું. આ માહિતી અનુસાર 2013-14માં કુલ મતસ્ય ઉત્પાદન 94.5 લાખ ટન રહેવાનું અનુમાન છે.