IL & FS કેવી રીતે સામાન્ય માણસ માટે બની શકે છે મુસીબત?
ગુરુવારે શેર બજાર 800 પોઈન્ટથી વધુ તુટ્યુ અને ડૉલરની સામે રૂપિયો પણ 73.81ના ઐતિહાસિક સ્તરે પહોંચી ચૂક્યો છે.
ગુરુવારે શેરબજાર 800 પોઈન્ટથી વધુ તુટ્યુ અને ડૉલરની સામે રૂપિયો પણ 73.81ના ઐતિહાસિક સ્તરે પહોંચી ચૂક્યો છે. શેર બજાર અને રૂપિયાની કિંમત છેલ્લા કેટલાક દિવસથી સતત ઘટી રહી છે. આ પહેલા 21 સપ્ટેમ્બરે શેર બજારમાં એક જ કલાકમાં 1500 અંકનો કડાકો થયો હતો, જો કે બાદમાં બજાર કમબેક થયું હતું. માર્કેટના આ વલણ પાછળ ઘણાબધા કારણ હોઈ શકે છે. પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિઝીંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસિઝ એટલે કે IL & FSનું સંકટ દેશમાં તૂટતા બજારનું કારણ મનાઈ રહ્યું છે. આ કંપનીમાં એલઆઈસીનો સૌથી વધુ 25.34 ટકા હિસ્સો છે. કહેવાઈ રહ્યું છે કે જો IL & FS ડૂબશે તો દેશમાં હાહાકાર થશે. આ ઘટનાને ભારતનું લેહમેન સંકટ પણ કહેવાઈ રહી છે.
શું છે IL & FS ?
ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિઝીંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસિઝ (IL & FS) 30 વર્ષ જૂની કંપની છે, જે દેશમાં માળખાગત સુવિધાઓ તૈયાર કરવા માટે લૉન આપે છે. સપ્ટેમ્બરના એન્ડ સુધી આ કંપની પોતાના લેણદારોને 3800 કરોડ નહોતી ચૂકવી શકી. આ કંપનીમાં સરકારી કંપનીઓનો હિસ્સો 40 ટકા કરતો વધુ છે, એટલે કે દેશમાં આર્થિક સ્થિરતા જાળવવા માટે IL & FSને જાળવી રાખવી જરૂરી છે. IL & FSની સંપત્તિ 15.77 બિલિયન ડૉલર છે, તેમ છતાંય કંપની પર મોટું દેવું છે. સરકારનું કહેવું છે કે કંપનીમાં ખરાબ આર્થિક મેનેજમેન્ટને પગલે આવું થયું છે.
કેટલું છે દેવુ?
IL & FS અને તેની સહાયક કંપનીઓ પર લગભગ 12 બિલિયન ડૉલર એટલે કે 91,000 કરોડ રૂપિયાનું દેવુ છે. આ ઘટનાની તુલના હવે 2009ના સત્યમ કૌભાંડ સાથે પણ થઈ રહી છે. સરકારનું કહેવું છે કે કંપનીના મેનેજમેન્ટે પોતાની વિશ્વસનિયતા ગુમાવી છે. એટલે સરકારે ગત સપ્તાહે છ પસંદગીના ઉમેદવારો સાથે IL & FSના બોર્ડમાં પરિવર્તન કર્યા છે, સાથે જ નવા બોર્ડને IL & FSમાં મૂડીને પ્રવાહી બનાવી આગળ ભૂલ ન થાય તેની જવાબદારી સોંપાઈ છે. સાથે જ સરકારે IL & FSમાં કોઈ પ્રકારનું કૌભાંડ છે કે નહીં તેની તપાસના આદેશ પણ આપ્યા છે.
સામાન્ય માણસ માટે કેમ સંકટ ?
કંપનીને હાલ દેવુ ચૂકવવા માટે 4 હજાર કરોડની તાત્કાલિક જરૂર છે. આ પૈસા LIC કે પછી SBIમાંથી આવે તેવૂ ચર્ચા છે. આ બંનેનો IL & FSમાં 30 ટકા કરતા વધુ ઈક્વિટી છે. કંપનીની આ હાલતને કારણે કંપની પરથી રોકાણકારોએ વિશ્વાસ ગુમાવ્યો છે. સવાલ એ છે કે ક્યાં સુધી મોટી કંપનીઓને બચાવવા માટે LIC અને SBIની મદદ લેવાશે. આ બંનેમાં નાના રોકાણકારોના પૈસા જમા હોય છે, અને આ પૈસા જો સ્ટોક માર્કેટ કે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાયા અને IL & FS જેવા સંકટને કારણે શેરબજાર ગગડશે, તો સામાન્ય માણસોના પૈસા ડૂબી શકે છે. ફક્ત સપ્ટેમ્બરમાં જ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓના 14 લાખ કરોડ રૂપિયા ડૂબી ચૂક્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે પીએફમાં જમા લાખો નાના કર્માચારીઓના પૈસા IL & FS સંકટને કારણે ખતરામાં છે, સાથે જ નિશ્ચિત આવક ધરાવતા ફંડ પણ ખતરામાં છે.
સંકટની કેવી પડશે અસર?
IL & FSએ દેશની મોટી મોટી નિર્માણ યોજનાઓ પૂરી કરવામાં યોગદાન આપ્યું છે. દિલ્હી-નોઈડા ટોલ બ્રિજ, IL & FS તામિલનાડુ પાવર કંપની, જમ્મુ શ્રીનગર વચ્ચે દરેક ઋતુમાં ખુલ્લી રહે તેવી પટનીટોપ સુરંગ મહત્વના ઉદાહરણ છે. આ કંપની શિયાળામાં પણ શ્રીનગર અને કારગીલ વચ્ચેનો માર્ગ ખુલ્લો રહે થે માટે 11 હજાર ફૂટની ઉંચાઈ પર જોજી-લામાં મહત્વાકાંક્ષી અને પડકારપૂર્ણ સુરંગ બનાવી રહી છે. એટલે જ જો કંપની પર સંકટ વધશે, તો સરકાર પાસે આ તમામ પ્રોજેક્ટ માટે પૈસા નહીં રહે. પરિણામે આવા પ્રોજેક્ટ્સ અટકી જશે.