ભારત પાસે 8 ટકાનો વૃદ્ધિદર મેળવવાની ક્ષમતા
ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણવિદોને સંબોધન કરતા અહલુવાલિયાએ જણાવ્યું હતું કે પાછલા 10 વર્ષમાં ભારતનો સરેરાશ આર્થિક વૃદ્ધિદર 7.5 ટકા રહ્યો છે. પાછલા દાયકાની સરેરાશ વૃધ્ધિદરની ટકાવારી ફરીથી મેળવવી શક્ય છે. નાણાકીય વર્ષ 2013-14 માટે આર્થિક વૃદ્ધિનું લક્ષ્યાંક 6.5થી 7 ટકા જેવું છે. તેમાં વધારે તેજી આવશે. ભારતની પાસે 8 ટકાનો વૃદ્ધિદર પ્રાપ્ત કરવાની પૂરી ક્ષમતા છે.
અહલુવાલિયાએ જણાવ્યું કે 5 ટકાનો વૃદ્ધિદર ઓછો છે પણ સાથે વિશ્વના બધા જ અર્થતંત્રોનો વૃદ્ધિદર ઘટી રહ્યો છે. આ ચિંતાનું કારણ છે પણ આપણે તેમાં વધારો થશે એવી આશા રાખી રહ્યા છીએ. એક બાબત એ પણ છે કે તેનાથી કોઇ મોટી આફત દેશ પર આવી પડી નથી. આર્થિક વૃદ્ધિ મહતાવની છે પણ તે સર્વાંગી અને ટકાઉ હોવી જોઇએ. આ સાથે દેશમાં સરકારના લક્ષ્ય મુજબ ગરીબીમાં ઘટાડો પણ થયો છે.
વર્તમાનમાં ગરીબી ઘટવાનો દર વધ્યો છે. તેમણે જણાવ્યું કે વર્તમાન અર્થતંત્ર અમારા માટે પડકારરૂપ છે. સરકાર વિદેશી રોકાણકારોનો ભારતમાં વિશ્વાસ વધે તેમનું રોકાણ વધે એ તરફ છે. ભારતમાં મોટા પ્રમાણમાં માનવ સંસાધન છે અને ખાનગી ક્ષેત્રનો વિસ્તાર થઇ રહ્યો છે. વિદેશી રોકાણકારો માટે ધીરે ધીરે ભારત રોકાણનું કેન્દ્ર બની રહ્યું છે એ સારી બાબત છે.