સંગ્રહખોરીને કારણે ફુગાવો વધે છે; રાજ્યો સંગ્રહખોરો સામે કડક પગલાં ભરે : અરૂણ જેટલી
નવી દિલ્હી, 4 જુલાઇ : નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું છે કે દર વર્ષે જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન સંગ્રહખોરી વધતી હોવાને કારણે કેટલાક ખાદ્ય પદાર્થોની કિંમતો એટલે કે ફુગાવો વધે છે. વધતી જતી મોંઘવારી માટે સંગ્રહખોરી જ જવાબદાર છે.
આ સાથે નાણામંત્રીએ એમ પણ જણાવ્યું કે ડુંગળીના ભાવો આ સમયગાળા દરમિયાન ગયા વર્ષની સરખામણીએ ઓછા છે. આ કારણે બજારોમાં અફરા-તફરીની સ્થિતિ નથી. સંગ્રહખોરો આ વર્ષે સામાન્યથી ઓછા વરસાદના અનુમાનને કારણે ફાયદો ઉઠાવી રહ્યા છે. પાછલા દિવસોમાં કહેવામાં આવ્યું હતું કે આ વર્ષે સરેરાશ કરતા ઓછો વરસાદ થઇ શકે છે. જેના કારણે મોંઘવારી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અરૂણ જેટલીએ એમ પણ જણાવ્યું કે રાજ્ય સરકારોએ કિંમત પર નિયંત્રણ માટે સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવવી જોઇએ.આ બાબતે કેન્દ્ર સરકાર તરફથી તેમને પૂરે પૂરું સમર્થન આપવામાં આવશે.
આ પહેલા નાણા મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે વસ્તુ અને સેવા કર જીએસટી (GST)ને જલ્દીમાં જલ્દી અમલી બનાવવા માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોની સાથે આવકમાં થનારી ખોટ સાથે સંકળાયેલા મુદ્દે સમાધાન કરશે. જીએસટી નવી કર વ્યવસ્થા છે. જેમાં વર્તમાન અપ્રત્યક્ષ કરોને સમાવી લેવામાં આવશે. રાજ્યના નાણા મંત્રીઓ સાથેની બેઠક બાદ જેટલીએ જણાવ્યું હતું કે જીએસટીના મુદ્દે વ્યાપક સહમતિ બનાવવામાં આવી છે.