નબળા અર્થતંત્ર માટે સ્થાનિક પરિબળો પણ જવાબદાર : પીએમ
નવી દિલ્હી, 29 ઓગસ્ટ : દેશમાં ચાલી રહેલા આર્થિક સંકટ માટે એક નહીં પણ અનેક પરિબળો જવાબદાર હોવાની વાત આજે વડાપ્રધાન મનમોહન સિંહે કરી છે. વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું છે કે દેશનું અર્થતંત્ર કપરા સમયનો સામનો કરી રહ્યું છે. આ માટે કેટલાક સ્થાનિક પરિબળો જવાબદાર છે.
યુએસ ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં સતત થઈ રહેલા પતન અંગે ભાજપના સિનિયર નેતા અરૂણ જેટલીએ વડા પ્રધાન તરફથી જવાબ માગ્યો હતો. તેના પ્રતિસાદમાં આજે વડા પ્રધાને કહ્યું કે દેશ મુશ્કેલ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે એ હકીકતને નકારી શકાય એમ નથી. આ માટે અનેક કારણો જવાબદાર છે. કેટલાક સ્થાનિક પરિબળો પણ જવાબદાર છે એને હું નકારતો નથી.
વિદેશી પરિબળોની છણાવટ કરતાં વડા પ્રધાને કહ્યું કે અમેરિકાના આર્થિક વલણ અને સિરીયામાં ઊભી થયેલી તંગદિલીએ ઊભી કરેલી સમસ્યાઓ તથા તેને લીધે ક્રુડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવને થયેલી અસરે પણ રૂપિયો ગબડવા માટે જવાબદાર છે. આપણે આ અચોક્કસતાઓ સહન કરવી જ પડે છે.