નરેન્દ્ર મોદી શેરમાર્કેટ માટે લકી સાબિત થશે?
અમદાવાદ, 18 સપ્ટેમ્બર : રાજકારણ અને ઇક્વિટી માર્કેટની કામગીરી વચ્ચે હંમેશા એક સંબંધ રહ્યો છે. આ સંબંધ એટલો મજબૂત છે કે રાજકારણ આર્થિક નીતિઓ નક્કી કરે છે, અર્થતંત્રને માર્ગદર્શન આપે છે અને ઉદ્યોગ જગતની કામગીરીને દિશા આપે છે. ઉદ્યોગ જગતની કામગીરી નક્કી કરે છે કે તેના શેર ભાવ કેટલે પહોંચશે.
શેર બજારની ગતિનો આધાર રાજકારણ પર રહેલો હોય છે. તેથી જ વિદેશી અને દેશી રોકાણકારો 2014ની લોકસભા ચૂંટણીને લગતી ગતિવિધિઓ પર આતુર નજર રાખીને બેઠા છે. શેરમાર્કેટમાં આશા છે કે ઉદ્યોગો ફ્રેન્ડલી નરેન્દ્ર મોદી કેન્દ્રમાં આવશે તો શેરમાર્કેટની સ્થિતિ સુધરશે અને માર્કેટમાં તેજીનો ચમકારો જોવા મળશે.
ઉદ્યોગ જગત અને સ્ટોક માર્કેટ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે સકારાત્મક દ્રષ્ટિ રાખી રહ્યા છે. કોર્પોરેટ પોલ અને સર્વેમાં ઇન્ડીયા ઇન્ક દ્વારા આગામી નેતા તરીકે નરેન્દ્ર મોદીને જ પહેલી પસંદગી ગણાવ્યા છે અને આની પાછળ નક્કર કારણો પણ રહેલા છે. કારણ કે હાલની સરકારની નીતિઓથી દેશના ઉદ્યોગ દેખાવને ગંભીર નુકશાન થયું છે. તેથી જ મોદીના 'પ્રો-બિઝનેસ' વિચારોને આવકારવામાં આવી રહ્યા છે.
થોડા દિવસો અગાઉ મોદીએ સીઇઓ સાથેની બેઠકમાં કહ્યુ હતું કે તેઓ ફલેક્સિબલ કામદાર કાયદાઓ, સ્પષ્ટ વિકાસ એજન્ડા લાવવાની યોજના ઘડી રહ્યા છે. જે ઉદ્યોગ જગતને વેગ આપનાર સાબિત થશે. આ માટે ગુજરાતનો વિકાસ દુનિયા સમક્ષ સ્પષ્ટ ઉદાહરણ છે.
અત્યારે આપણે જેની જરૂર છે તે છે એક મજબૂત નેતૃત્વ. જે આર્થિક વિકાસ અને આવકમાં વૃદ્ધિને સાંકળી શકે. મોદીની બીજી ઓળખાણ જ વિકાસ પુરૂષની છે. હવે જોવાનું રહ્યું કે મોદી ભારતના શેરબજારો માટે શુકનિયાળ સાબિત થશે કે નહીં.