PM મોદીના અનુભવો પર આધારિત હતુ આ વખતનુ બજેટઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ
શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ વિશે ઉઠી રહેલા સવાલોનો જવાબ આપ્યો.
Nirmala Sitharaman in Lok Sabha: રાજ્યસભાની કાર્યવાહી 8 માર્ચ સુધી માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આના કારણે હવે લોકસભાની કાર્યવાહી સવારે 10 વાગ્યાથી શરૂ થવા લાગી છે. શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ વિશે ઉઠી રહેલા સવાલોનો જવાબ આપ્યો. સાથે જ ગરીબો અને ખેડૂતો માટે કામ કરવાની પ્રતિબદ્ધતાનુ પુનરાવર્તન કર્યુ. નાણામંત્રીના જણાવ્યા મુજબ આ બજેટ નીતિઓ અને પીએમ મોદીના અનુભવ આધારિત છે. અમે અર્થવ્યવસ્થાને ખોલી અને ઘણા સુધારા કર્યા. ભાજપે સતત ભારત, ભારતીય વ્યવસાય અને અર્થવ્યવસ્થાની મજબૂતી પર વિશ્વાસ કર્યો. આ જનસંઘથી લઈને અત્યાર સુધી ચાલી રહ્યુ છે. ભારતીય ઉદ્યમ જે સમ્માનના હકગદાર હતા અમે તે આપ્યુ.
લોકસભામાં કૃષિ બજેટ વિશે ઘણા સવાલ ઉઠ્યા હતા જેના પર નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે એક સવાલ હતો કે તમે ખેતીના બજેટને 10 હજાર કરોડ કેમ ઘટાડ્યુ? તમને ખેડૂતોની ચિંતા નથી? આને બરાબર સમજવામાં નથી આવ્યુ કારણકે પીએમ ખેડૂત સમ્માન યોજના શરૂ થવાથી લઈને 10.75 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 1.15 લાખ કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે આ વખતનુ બજેટ પીએમ મોદીના અનુભવો પર આધારિત છે જ્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 1991 બાદ લાયસન્સ અને કોટા રાજ જઈ રહ્યુ હતુ. એ દરમિયાન ગુજરાતમાં ઘણા કામ થઈ રહ્યા હતા જેના આધારે તેમણે રિફૉર્મ્સને આ બજેટમાં શામેલ કર્યા.
નાણામંત્રીના જણાવ્યા મુજબ 2013-14માં મહેસૂલ હેઠળ 1,16,931 કરોડ રૂપિયા, મૂડી હેઠળ 86,741 કરોડ અને 44,500 કરોડ રૂપિયા પેન્શન હેઠળ ફાળવવામાં આવ્યા હતા. હવે મહેસૂલ હેઠળ 2,09,319 કરોડ, મૂડી હેઠળ 1,13,734 કરોડ અને પેન્શન હેઠળ 1,33,825 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે મહામારી છતાં દેશ આત્મનિર્ભર બની રહ્યો છે. જે રિફૉર્મ્સની જોગવાઈ કરવામાં આવી છે તેનાથી ભારત દુનિયાની ટૉપ ઈકોનૉમી બનવાના રસ્તે જશે.
રાજ્યસભા બાદ લોકસભામાં ગુંજ્યો જમાઈ શબ્દ
રાજ્યસભામાં ભાષણ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે જમાઈ શબ્દ દ્વારા કોંગ્રેસ પર નિશાન સાધ્યુ. ત્યારબાદ લોકસભામાં પણ તેમણે આ જ પેટર્ન અપનાવી. નાણામંત્રીએ કહ્યુ કે અમે જમાઈ માટે કામ નથી કરતા. અમે જનતા માટે કામ કરીએ છીએ જે પીએમ મોદી પર વિશ્વાસ કરે છે. તમને જણાવી દઈએ કે અહીં જમાઈ શબ્દનો ઈશારો પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડ્રા પર હતો.
રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટના ખાતામાં 1511 કરોડ થયા જમા