રિયલ્ટીમાં મંદી છતાં ભારતમાં પાંચ વર્ષમાં મોલની સંખ્યા બમણી
નવી દિલ્હી, 8 ઓગસ્ટ : ભારતના રિયાલિટી સેક્ટરમાં હાલમાં મંદીનો સમય ચાલી રહ્યો છે. આ મંદીને કારણે દેશમાં થઇ રહેલા મોલના નિર્માણ પર કોઇ અસર થઇ નથી. તાજેતરના સમયમાં મોલમાં ખરીદી કરનાર લોકોનો ક્રેઝ વધી રહ્યો છે તેવા સમયમાં ભારતીય રિયાલિટી સેક્ટરમાં મંદી હોવા છતાં મોલના નિર્માણમાં વધારો થયો છે.
આ અંગે થયેલા એક સર્વેના આંકડા જણાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં મંદીનું વાતાવરણ હોવા છતાં મોલની સંખ્યા બમણી થઇ છે. એક અગ્રણી અંગ્રેજી અખબારે માહિતી આપતા કહ્યું છે કે મે 2013ના આંકડા મુજબ દેશમાં ઓપરેશનલ રહેલા મોલની સંખ્યા 570 હતી. જે 180 મિલિયન સ્ક્વેર ફુટ વિસ્તારમાં ફેલાયેલા છે.
આ મોલની સંખ્યા પાંચ વર્ષ અગાઉ 225 જેટલી હતી. આનો અર્થ એ થયો છે કે દેશમાં મોલના નિર્માણમાં જોરદાર તેજી ચાલી રહી છે. સાત મેટ્રો શહેરોની વાત કરવામાં આવે તો 190 મોલ ઓપરેશનલ સ્થિતીમાં છે. જો કે છેલ્લા એક વર્ષના ગાળામાં જ ભારતમાં 60થી વધારે નવા મોલ ખુલી ગયા છે. બેંગલોર સ્થિત એસીપેક દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે.

વર્ષ 2008 બાદથી મોલની સંખ્યામાં માત્ર બે ગણો વધારો જ થયો નથી, પરંતુ દેશના ટોપ 15 મોલમાં સરેરાશ એરિયા છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં 40 ટકા સુધી વધી ગયો છે. સરેરાશ એરિયા 6.17 લાખ સ્કવેયર ફુટથી વધીને 8.66 લાખ સ્કવેયર ફુટ થઇ ગયો છે. આ મુદ્દે પણ ભારે ચર્ચા ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાહેજા અને ફોનિક્સ, ડીએલએફ અને પ્રેસ્ટિજ જેવા ડેવલપર્સ મોટા પાયે મોલની નિર્માણ પ્રવૃત્તિમાં વ્યસ્ત છે. ઉદ્યોગજગત સાથે જોડાયેલા નિષ્ણાંત લોકોનુ કહેવું છે કે લોકો હવે મોટા મોલ પર પ્રથમ પસંદગી ઉતારે છે. જેમાં વધારે બ્રાન્ડ જોવા મળે છે. એક જ છત હેઠળ તમામ ચીજ વસ્તુઓ મળી જાય તેવી જગ્યાએ લોકો હવે ખરીદી કરવાનું પસંદ કરે છે આ જ કારણસર દેશમાં રિયાલિટી સેક્ટરમાં મંદી હોવા છતાં મોલના નિર્માણમાં વધારો થયો છે. રિટેલ માર્કેટમાં ઉતારચઢાવની સ્થિતી અકબંધ રહી છે. મોલના કારોબારમાં નુકસાનની સ્થિતી હોવા છતાં તેનામાં ક્રેઝ વધી રહ્યો છે.












Click it and Unblock the Notifications
