ઓબામાનો વિજય : ભારતના આઇટી આઉટસોર્સિંગ જગતમાં નાખુશી?
ભારતની આઇટી કંપની આઇગેટના સીઇઓ ફણિશ મૂર્તિનું કહેવું છે કે "યુએસના રાષ્ટ્રપતિ પદે ફરીથી ચૂંટાઇ આવેલા બરાક ઓબામા આઇટી આઉટસોર્સિંગ ઇન્ડસ્ટ્રી માટે સારા સમાચાર નથી. ભારત માટે આ નિરાશાની બાબત છે. આમ છતાં, આપણે એ સમજવાની જરૂર છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન કહેવામાં આવેલી બાબતોનો કેટલો અમલ વર્ષ 2013માં કરવામાં આવશે. આ અમલીકરણની સંપૂર્ણ અસર આપણા ઉપર કેવી પડશે."
તેમણે વધુમાં જણાવ્યું કે "અમેરિકામાં જેવી રીતે ખાધ અને નોકરીઓની ઘટતી જતી તકોની ચિંતા છે એવી જ ચિંતા અમારા મનમાં પણ છે. અર્થતંત્રમાં ટકી રહેવા માટે નિષ્ક્રિયતાને ખંખેરવી ખૂબ જરૂરી છે."
ઉલ્લેખનીય છે કે રિપબ્લિકન પાર્ટીના પ્રતિસ્પર્ધી મિટ રોમનીને હરાવીને મંગળવારે બરાક ઓબામાએ સતત બીજી વાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જીત મેળવી હતી.
રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના પ્રચાર દરમિયાન બરાક ઓબામાએ બારત જેવા દેશોમાં આઇટી આઉટસોર્સિંગનો વિરોધ કર્યો હતો અને સ્થાનિક સ્તરે જ રોજગાર ઉભો કરવાની વાત કરી હતી. ભારતના આઇટી ઉદ્યોગની 80 ટકા આવક યુએસ અને યુરોપના દેશોમાંથી આવે છે.