ભારતીય રેલવેનું ખાનગીકરણ અમારી ઇચ્છા નથી, ઇરાદો નથી કે નથી વિચારણા: મોદી
નવી દિલ્હી/વારાણસી, 25 ડિસેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવેના ખાનગીકરણની અફવાઓને ગુરુવારે ભારદઇને નકારી કાઢી હતી. પોતાની વારાણસી મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીઝલ રેલ એન્જીન કારખાનાના વિસ્તરણના અવસરે જણાવ્યું કે સરકારની રેલવેના ખાનગીકરણ અંગે કોઇ યોજના નથી. તેમણે એમ પણ જણાવ્યું કે ઓછા વ્યાજ મળતા પૈસા અને ટેકનિકને રેલવેના વિકાસ અને આધુનિકીકરણમાં લગાવવામાં કોઇ વાંધો નથી. આ દિશામાં તેમની સરકાર આગળ વધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવેના કર્મચારીઓને આશ્વાસન આપતા જણાવ્યું કે 'આપમાંથી અનેક લોકો હશે જે 20-22 વર્ષની વયના હતા ત્યારથી રેલવે સાથે જોડાયેલા હશે. પરંતુ હું તો જન્મ્યો ત્યારથી રેલવે સાથે જોડાયેલો છું આ કારણે આપ લોકોથી વધારે પ્રેમ મને રેલવે સાથે છે.'
ભારતીય રેલવેના ખાનગીકરણની અફવાઓ અંગે તેમણે જણાવ્યું કે 'જે લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે કે રેલવેનું ખાનગીકરણ થવાનું છે, તે એકદમ ખોટું છે. મારા કરતા વધારે પ્રેમ રેલવેને કોઇ કરી શકે તેમ નથી. રેલવેના ખાનગીકરણ અંગે ગપ ચલાવવામાં આવી રહી છે. તે માટેની અમારી ઇચ્છા નથી, ઇરાદો નથી કે નથી અમારો વિચાર. અમે આ દિશામાં ક્યારેય જઇ શકીએ તેમ નથી. આપ ચિંતા ના કરો.'
મોદીએ જણાવ્યું કે 'દેશના ગરીબો માટે પુલ, હોસ્પિટલ, રોડ બનાવવા માટે જે પૈસા કામમાં આવવા જોઇએ, તે સરકારી ખજાનાના પૈસાને દર વર્ષે રેલવેને જીવિત રાખવા માટે નાખવા પડે છે. ક્યાં સુધી આપણે ગરીબોના નાણા રેલવેમાં નાખતા રહીશું? અને જો ક્યાંકથી ઓછા વ્યાજે પૈસા મળે છે તો સમજદારી એમાં જ છે કે ગરીબોના રૂપિયાને બદલે ધન્ના શેઠના પૈસા ત્યાં લગાવવામાં આવે.'
નરેન્દ્ર મોદીએ આગળ એમ પણ જણાવ્યું કે 'આજે દુનિયામાં ઓછા વ્યાજે પૈસા મળે છે. તેને અમે રેલવેના વિકાસમાં લગાવવા માંગીએ છીએ. તેનાથી રેલવે કર્મચારીઓ અને દેશનું ભલું થશે. અમે રેલવેનું ખાનગીકરણ કરવા નથી જઇ રહ્યા. રૂપિયો રેલવેમાં આવે, ડોલર રેલવેમાં આવે કે પાઉન્ડ રેલવેમાં આવે, આપને શું ફરક પડે છે, આપના પૈસા તો આવી જ રહ્યા છે.'
મોદીએ એમ પણ જણાવ્યું કે તેમની સરકારને રેલવેના આધુનિકીકરણ માટે વિદેશી ટેકનીકનો ઉપયોગ કરવા સામે પણ કોઇ વાંધો નથી. તેમણે જણાવ્યું કે 'જો રેલવે યુનવર્સિટીમાં જાપાન, ચીનથી મદદ મળે છે તો ટેકનિકલ મદદ મેળવવામાં શું ખોટું છે? આ કામ જ આ સરકાર કરવા માંગે છે.'