RBI જૂની ચલણી નોટો બદલાવવાની મુદત વધારી શકે
નવી દિલ્હી, 23 ડિસેમ્બર : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ સુરક્ષા કારણોથી માર્કેટમાંથી વર્ષ 2005 અગાઉ પ્રિન્ટ થયેલી ચલણી નોટો પાછી ખેંચવાનું શરૂ કર્યું હતું. આ માટે તેણે 1 જાન્યુઆરી, 2015 સુધીની સમય મર્યાદા આપી હતી. હવે રિઝર્વ બેંક આ ચલણી નોટો બદલવાની સમયમર્યાદા વધારી શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આરબીઆઇ આગામી થોડા દિવસોની અંદર આ મુદ્દે ઔપચારિક સૂચનાની જાહેરાત કરી શકે છે તેવું તેનાં સૂત્રોએ જણાવ્યું હતું. ચાલુ વર્ષે રિઝર્વ બેન્કે જાહેરાત કરી હતી કે તે વર્ષ 2005 અગાઉ પ્રિન્ટ થયેલી ચલણી નોટને પાછી ખેંચશે. તેને અત્યાર સુધી આવી રૂપિયા 52,855 કરોડના મૂલ્યની 144.66 કરોડ ચલણી નોટ મળી છે.

રિઝર્વ બેન્કે વર્ષ 2005થી અત્યાર સુધી બનાવટી ચલણને અટકાવવા પ્રિન્ટ થતી નોટમાં સુરક્ષા સંબંધિત વિશિષ્ટતા ઉમેરી છે. વર્ષ 2005 અગાઉ પ્રિન્ટ થયેલી નોટને ઓળખવાનો એક માર્ગ એ છે કે તેની રિવર્સ સાઇટ પર પ્રિન્ટિંગનું વર્ષ હોતું નથી. નવી નોટમાં રિવર્સ પર નીચે પ્રિન્ટિંગનું વર્ષ દેખાય છે. નાણાપ્રધાને તાજેતરમાં જણાવ્યું હતું કે એકસાથે ચલણમાં એકથી વધારે સિરીઝ ધરાવતી નોટ ન રાખવાની આંતરરાષ્ટ્રીય પ્રમાણભૂત કામગીરીને અનુરૂપ આ કવાયત છે.
આરબીઆઇએ બેન્કોને કાઉન્ટર કે એટીએમ મારફતે વર્ષ 2005થી અગાઉ પ્રિન્ટ ન થયેલી નોટ ઇશ્યૂ ન કરવા જણાવ્યું હતું. બેન્કને ઓક્ટોબરના અંત સુધીમાં આવી રૂપિયા 7,320 કરોડના મૂલ્યની રૂપિયા 100ની 73.2 કરોડ નોટ, રૂપિયા 25,925 કરોડના મૂલ્યની રૂપિયા 500ની 51.85 કરોડ નોટ અને રૂપિયા 19,610 કરોડના મૂલ્યની રૂપિયા1,000ની 19.61 કરોડ નોટ મળી છે.












Click it and Unblock the Notifications
