RBIએ વ્યાજનો દર 8 ટકાએ યથાવત રાખ્યો
મુંબઇ, 1 એપ્રિલ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ પોતાની ક્રેડિટ પોલિસીની જાહેરાત કરી દીધી છે. આરબીઆઇએ રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 8 ટકાએ યથાવત છે. જ્યારે રિવર્સ રેપો રેટ પણ 7 ટકાએ યથાવત છે. જ્યારે સીઆરઆરમાં પણ કોઇ ફેરફાર કર્યા વિના 4 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.
આરબીઆઇએ 7 અને 14 દિવસની ટર્મ રેપોથી મળી રહેલી રોકડીને વધારીને ડિપોઝિટના 0.75 ટકા કરી દીધા છે. જ્યારે દૈનિક રેપો રેટથી મળતી રોકડ ઘટાડીને ડિપોઝિટના 0.25 ટકા કરી દીધા છે. હવે પછી આરબીઆઇની નવી ક્રેડિટ પોલિસી 3 જૂનના રોજ જાહેર થશે.
આરબીઆઇના જણાવ્યા અનુસાર તેમનો હેતુ મોંઘવારી ઘટાડવાનો છે. આગામી જાન્યુઆરી સુધીમાં મોંઘવારી દર 8 ટકા સુઘી લાવવાનું લક્ષ્ય છે. જ્યારે નાણાકીય વર્ષ 2015-16માં વૃદ્ધિદર 5થી 6 ટકા રહેવાની આશા છે.
આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું કે નવા બેંકિંગ લાયસન્સ આપ્યા બાદ આરબીઆઇ ઓન ટેપ લાઇસન્સનું કામ કરશે. આ સાથે ડિફરન્શીયલ બેંક લાયસન્સ પર પણ કામ થશે. આ સાથે બેંકો વચ્ચેના વિલિનીકરણને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.