નોટબંધી: RBIએ જાહેર કરી રસપ્રદ આંકડાકીય માહિતી
ભારતીય રિઝર્વ બેંક દ્વારા નોટબંધીને લગતી રસપ્રદ આંકડાકીય માહિતી બહાર પાડવામાં આવી છે.
ભારતીય રિઝર્વ બેંક દ્વારા નોટબંધી સંબંધિત માહિતી જાહેર કરવામાં આવી છે. આરબીઆઇની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ આંકડાકીય માહિતી અનુસાર, 1000 રૂપિયાની કુલ 670 કરોડ ચલણી નોટોમાંથી 8.9 કરોડ ચલણી નોટો પાછી નથી આવી. આથી કહી શકાય કે, 8 નવેમ્બર સુધી બજારમાં ઉપલબ્ધ 1000 રૂપિયાની કુલ નોટોમાંથી માત્ર 1.3 ટકા ચલણી નોટો જ પરત નથી આવી. ભારતીય રિઝર્વ બેંકના આંકડાઓ અનુસાર, કુલ 15.44 લાખ કરોડ રૂપિયામાંથી 15.28 લાખ કરોડ રૂપિયા આરબીઆઇ પાસે પરત આવી ગયા છે.
આ પરથી એમ પણ કહી શકાય કે, નોટબંધી દ્વારા કાળું નાણું બહાર પાડવાની મોદી સરકારની યોજના ખાસ કમાલ નથી દેખાડી શકી. વળી, વર્ષ દીઠના આધારે જોઇએ તો બજારમાં ફરતી ચલણી નોટોની કિંમતમાં 20.2 ટકાનો ઘટાડો નોંધાયો, જે પછી માર્ચ સુધીમાં આ રૂપિયાની કિંમત થઇ 13.1 લાખ કરોડ.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ 8 નવેમ્બરના રોજ મોડી સાંજે નોટબંધીની જાહેરાત બાદ 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો પર પ્રતિબંધ લાદવામં આવ્યો હતો. ત્યાર બાદ સરકાર દ્વારા 500 અને 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવી હતી. હવે સરકાર દ્વારા 200 અને 50ની પણ નવી ચલણી નોટો બહાર પાડવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે, રૂપિયા 200ની નોટોમાં વધારો કરવામાં આવશે. બીજી બાજુ રૂપિયા 2000ની નવી નોટો છાપવાનું કામ બંધ કરવામાં આવ્યું છે, કારણ કે કેન્દ્રિય બેંક હાલ નાની ચલણી નોટો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.