RCOM જુલાઇ 2014ના અંત સુધીમાં 37 ટકા કર્મચારીઓને છૂટા કરશે
મુંબઇ, 7 જુલાઇ : અનિલ અંબાણી જૂથની કોમ્યુનિકેશન કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન (RCOM - આરકોમ)ના એક મોટા પુનર્ગઠનના પગલામાં કંપનીના કર્મચારીઓ નોકરી ગુમાવશે એવી સ્થિતિ છે. આ તમામ કાર્યવાહી આ જ મહિનાના અંત સુધીમાં પુરી કરવામાં આવશે એમ સૂત્રો જણાવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વર્તમાન સમયમાં રિલાયન્સ કોમ્યુનિકેશન અંદાજે 15,000 કર્મચારીઓ ધરાવે છે. કંપની તેમાંથી 37 ટકા કર્મચારીઓને છુટા કરવા જઇ રહી છે. કર્મચારીઓને છુટા કર્યા બાદ કંપની પોતાના કોલ સેન્ટરનું કામ આઉટસોર્સથી કરાવશે અને અન્ય કાર્યો વહેંચી દેશે. આ પગલું કંપનીના બિનકેન્દ્રીત બિઝનેસમાંથી બહાર નીકળવાની દિશામાં આગળ વધવા ઉપરાંત ખર્ચ કાપ કરીને નફો વધારવાના પ્રયાસરૂપ માનવામાં આવે છે.
માનવામાં આવી રહ્યું છે કે RCOM તેના બીપીઓ અને સર્વિસ ઓપરેશન્સના કાર્યો આઉટસોર્સ કરવા માટે બે થર્ડ પાર્ટીઓ સાથે રૂપિયા 700 કરોડની ડીલ કરવા જઇ રહી છે. આ પરિણામે કંપનીના 6000 કર્મચારીઓ પર બેરોજગારીનો પ્રહાર થશે.
નોંધનીય છે કે છૂટા કરવામાં આવનારા 6000 કર્મચારીઓમાથી 4500 કર્મચારીઓ કોલસેન્ટરમાં કામ કરી રહ્યા છે. જ્યારે બાકીના કર્મચારીઓ તેની સર્વિસ ટીમમાં કાર્યરત છે. આઉટસોર્સિંગ થતાં જ આ કર્મચારીઓ સર્વિસ પૂરી પાડનારી થર્ડ પાર્ટી કંપનીમાં જોડાઇ જશે તેવી શક્યતા છે.
નોંધનીય છે કે બેન્ડવિડ્થ ખરીદવા અને વિસ્તરણ માટે ભંડોળ લેવા માટે જે દેવું કરવામાં આવ્યું છે તે ખૂબ મોટું છે. તેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી કંપનીના નફા પર મોટી અસર પડી રહી છે.