રાજનને RBIના ગવર્નર તરીકે ચાલુ રાખવા ભગવતીની મોદીને સલાહ
નવી દિલ્હી, 20 મે : ભાજપને લોકસભા ચૂંટણી 2014માં બહુમતી મળ્યા બાદ જાણીતા અર્થશાસ્ત્રી જગદીશ ભગવતીએ નરેન્દ્ર મોદીને સલાહ આપી છે કે રઘુરામ રાજનને આરબીઆઇ ગવર્નર તરીકે ચાલુ રાખવો જોઇએ. સાથે તેમણે એવી પણ સલાહ આપી કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ દર મહિને સંવાદદાતા સંમેલન આયોજિત કરીને સરકારનો એજન્ડા સામે રાખવો જોઇએ.
તેમણે જણાવ્યું કે ભારતના લોકશાહી પર્વમાં નરેન્દ્ર મોદીની ચમત્કારી જીતે દેશને ફરીથી વિશ્વફલક પર એક શક્તિશાળી ચિત્ર રજુ કર્યું છે. ભગવતીએ જણાવ્યું કે યુપીએ નેતાઓના વિપરીત નવા વડાપ્રધાન મૌન રહેનારા નથી. તેમણે દર મહિને પત્રકાર પરિષદ યોજવી જોઇએ. જેમાં તેમણે જનતાની સાથે દર મહિને પોતાનો એજન્ડા રજૂ કરવો જોઇએ. તેમણે સૌને સાથે મળીને ચાલવું જોઇએ.
તેમણે પોતાના અભિયાન દરમિયાન અત્યંત સ્પષ્ટ રીતે પોતાની વાત કરી હતી. ભગવતીએ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજનનું સમર્થન કર્યું છે. તેમણે જણાવ્યું કે રાજનને તેમના પદ પર ચાલું રહેવું જોઇએ.
કોલંબિયા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી ભગવતીએ જણાવ્યું કે મારું એવું માનવું છે કે રઘુરામ રાજનને જ ચાલુ રાખવા જોઇએ. માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદીની સરકાર ગવર્નરને બદલી શકે છે. રાજને તાજેતરમાં આરબીઆઇની સ્વતંત્રતાની વાત કહી હતી.
તેમણે સ્વીત્ઝરલેન્ડના સેન્ટ ગેલેન સિમ્પોઝિયમમાં જણાવ્યું હતું કે 'નાણાકીય નીતિ હું તૈયાર કરું છું. હું એ જ કહું છું જે થાય છે. સરકાર પાસે મને દૂર કરવાનો અધિકાર છે. પરંતુ સરકાર આર્થિક નીતિ નક્કી નથી કરતી. આ કારણે હું સ્વતંત્ર છું. મને સરકાર સાથે વાતચીત કરવામાં આનંદ છે. જો કે વ્યાજદર છેવટે હું જ નક્કી કરું છું. નવા વડાપ્રધાન માટે વિશ્વાસ રાકવા માટે વિચક્ષણ અર્થશાસ્ત્રીઓ હશે. વિદેશમાંથી પણ અનેક અર્થશાસ્ત્રીઓ પાછા આવવા માંગે છે.'