સુબ્રોતો સેબી સમક્ષ હાજર : સહારા બનશે બેસહારા?
આ કેસમાં છેલ્લાં કેટલાક સમયથી સુબ્રોતો ગેરહાજર રહેતા હોવાથી છેવટે સેબીએ સમન્સ ઇશ્યૂ કરવા પડ્યા હતા. આ સાથે સેબી જણાવી દીધું હતું કે જો રૉય અને તેમના એક્ઝિક્યૂટિવ્સ સમન્સ અપાયા બાદ હાજર નહીં થાય તો પોતે સહારા ગ્રુપની કંપનીઓની મિલકતોને ટાંચંમાં લઇને તેનું વેચાણ કરી દેવાનો આદેશ આપશે.
ઉલ્લેખનીય છે કે સુબ્રત રૉયના નેતૃત્વવાળા સહારા ગ્રુપની સમસ્યાઓ ઘટવાને બદલે વધતી જાય છે. તેની સામે મુંબઈ ઈકોનોમિક ઓફેન્સીસ વિંગે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. સહારા ગ્રુપ તેના ઈન્વેસ્ટરોને ધમકાવે છે કે કેમ એ જાણવા માટે આ તપાસ શરૂ કરાઈ છે. સહારા જૂથ છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહી છે.
કેન્દ્ર સરકારે જ સહારા વિરુદ્ધ આ તપાસ કરવાનો આદેશ મુંબઈની આર્થિક ગુનાશોધક એજન્સીને આપ્યો છે. પોતાના ત્રણ કરોડ ઈન્વેસ્ટરોને અંદાજે રૂપિયા 24,000 કરોડનું પેમેન્ટ કરવાને લગતા રીફંડ કેસમાં સહારા ગ્રુપ અને સુબ્રત રૉય સંડોવાયા છે. સહારા ગ્રુપની બે કંપની SIRECL અને SHCILને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે તેઓ એમના બોન્ડ હોલ્ડરોને ત્રણ મહિનાની અંદર રૂપિયા 24,000 કરોડનું રીફંડની ચૂકવણી કરી આપે.
ત્યારબાદ વર્ષ 2012ની પાંચમી ડિસેંબરે સુપ્રીમ કોર્ટે સહારાની કંપનીઓને પેમેન્ટ અંગે અમુક શરતો ઉપર સમય આપ્યો હતો. કોર્ટે સહારાને રૂપિયા 5120 કરોડની રકમનું પેમેન્ટ તાત્કાલિક કરી દેવા અને ત્યારબાદ રૂપિયા 10,000 કરોડનું પેમેન્ટ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં અને બાકીની રકમ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં કરવાનો આદેશ આપ્યો હતો.