સહારાના વડા સુબ્રોતો રોય જેલમાં જ રહેશે : સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 6 મે : આજે સુપ્રીમ કોર્ટે સહારા જૂથના વડા સુબ્રોતો રોયની જામીન અરજી ફગાવી દીધી છે. આ કારણે સુબ્રોતો રોયે હજી પણ જેલમાં દિવસો વિતાવવા પડશે. રોયે જ્યૂડિશિયલ કસ્ટડીમાં રાખવાના કોર્ટના નિર્ણયને પડકારતી અરજીમાં કહ્યું હતું કે તેમને જેલમાં રાખવા ગેરકાયદેસર છે, આ મુદ્દે કોર્ટે કર્યું કે તેમની ઉપર નાણાકીય અનિયમિતતાનો આરોપ છે અને રોકાણકારોના નાણા વસૂલવા માટે તેમને જેલમાં રાખવા જરૂરી છે.
આ અરજીના જવાબમાં સુપ્રીમ કોર્ટે સહારા પ્રમુખને કહ્યું કે તેઓ પોતાની જામીન માટે નવો પ્રસ્તાવ રજૂ કરે અને કહે કે તેઓ રોકાણકારોનું બાકી લેણું કેવી રીતે ચૂકવશે.
સેબી રોકાણકારોને વીસ હજાર કરોડ રૂપિયા પાછા નહીં આપવાના કેસમાં સુબ્રોતો રોય છેલ્લા દોઢ મહિનાથી જેલમાં બંધ છે. સહારા જૂથે પહેલી એવી રજૂઆત કરી કે જો રોયને છોડવામાં આવે તો તેઓ એક વર્ષની અંદર પાંચ હપ્તામાં બધા જ નાણા સેબીમાં જમા કરાવી દેશે.
સુબ્રત રોય 4 માર્ચથી દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. કોર્ટે જૂથના તમામ અકાઉન્ટ બ્લોક કરી દીધા છે. અગાઉ ગત સપ્તાહે સુબ્રત રોયે જેલમાં ગરમીને કારણે નહીં ફાવતું હોવાનું કારણ આપી જામીન માંગ્યા હતા. જે પણ સુપ્રીમે ફગાવી દીધા હતા.