ટાટા સન્સને મળી એર ઇન્ડિયા, સૌથી વધુ 18,000 કરોડની બોલી
સરકારે એર ઇન્ડિયાના 'નવા મહારાજા' ટાટા સન્સની પસંદગી કરવાનો નિર્ણય લીધો હતો.
ટાટા સન્સ હવે એર ઇન્ડિયાના નવા માલિક બનશે. આ સરકારી એરલાઇન માટે કંપનીએ સૌથી વધુ 18,000 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આ સાથે હવે ટાટા સન્સની દેશમાં 3 એરલાઇન્સ હશે. શુક્રવારના રોજ સરકારે એર ઇન્ડિયાના 'નવા મહારાજા' ટાટા સન્સની પસંદગી કરવાનો નિર્ણય લીધો હતો.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ રાજીવ બંસલે એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપી
સરકારના વિનિવેશ કાર્યક્રમ માટે જવાબદાર DIPAM ના સચિવ તુહીન કાંત પાંડે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ રાજીવ બંસલે એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. ટાટા સન્સ ઉપરાંત સ્પાઇસ જેટના અજય સિંહની આગેવાની હેઠળનું એક સંગઠન પણ આ રેસમાં શામેલ થયું હતું.
અજય સિંહ કરતા ટાટા સન્સેે લગાવી 2900 કરોડની વધુ બોલી
ટાટા સન્સે એર ઇન્ડિયા માટે 18,000 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આવા સમયે આ રેસમાં શામેલ અજય સિંહના સંગઠને 15,100 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આમ ટાટા સન્સે રૂપિયા 2,900 કરોડથી વધુના માર્જિનથી એર ઇન્ડિયાની માલિકીની બોલી જીતી.
સ્પાઇસ જેટના અજય સિંહ પણ આ સરકારી એરલાઇનને ખરીદવામાં રસ ધરાવે છે
એર ઈન્ડિયાના નવા માલિકની પસંદગી માટે અંતિમ બોલી લગાવવામાં આવી છે અને સરકાર તેમનું મૂલ્યાંકન કરી રહી છે. ટાટા ગ્રુપ ઉપરાંત સ્પાઇસ જેટના અજય સિંહ પણ આ સરકારી એરલાઇનને ખરીદવામાં રસ ધરાવે છે. તેમણે સ્પાઇસ જેટ સિવાય પોતાની વ્યક્તિગત ક્ષમતામાં આ એરલાઇન માટે બોલી લગાવી છે.
એર ઇન્ડિયાનો ઇતિહાસ ટાટા સાથે જોડાયેલો છે
વર્ષ 1932માં એર ઈન્ડિયાની શરૂઆત ટાટા ગ્રુપે જ કરી હતી. જે. આર. ડી ટાટા (જેઆરડી ટાટા), જે પોતે એક કુશળ પાયલોટ છે, તેમને ટાટા એરલાઇન્સ તરીકે શરૂ કરી હતી. બીજા વિશ્વયુદ્ધ બાદ સામાન્ય હવાઈ સેવા ભારતથી શરૂ થઈ અને પછી એર ઈન્ડિયાને જાહેર ક્ષેત્રની કંપની બનાવવામાં આવી હતી.
વર્ષ 1953માં એર ઈન્ડિયા સંપૂર્ણપણે સરકારી કંપની બની ગઈ
વર્ષ 1947માં દેશની આઝાદી બાદ રાષ્ટ્રીય એરલાઈનની જરૂરિયાત અનુભવાઈ અને ભારત સરકારે એર ઈન્ડિયામાં 49 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. જે બાદ વર્ષ 1953માં ભારત સરકારે એર કોર્પોરેશન એક્ટ પસાર કર્યો અને સરકારે ટાટા ગ્રુપ પાસેથી કંપનીમાં બહુમતી હિસ્સો ખરીદ્યો લીધો હતો. આ રીતે એર ઈન્ડિયા સંપૂર્ણપણે સરકારી કંપની બની ગઈ હતી.