થાઇલેન્ડના રાજદૂતે ગુજરાત માટે સીધી ફ્લાઇટની જાહેરાત કરી
''ભારત અને થાઇલેન્ડનો નાતો વર્ષો પુરાણો છે, અમે થાઇલેન્ડ અને ગુજરાતનો સંબંધ મજબૂત બનાવીશું.'' તેમ જણાવતાં થાઇલેન્ડ દેશના ભારત ખાતેના રાજદૂત પિસાન માનાવાપતે ગુજરાતથી થાઇલેન્ડ સુધીની સીધી વિમાની સેવા તા. ૧ એપ્રિલથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. થાઇ એરવેઝ ઇન્ટરનેશનલ થાઇ સ્માઇલ દ્વારા આ સેવાની શરૂઆત થશે.
પિસાને જણાવ્યું હતું કે, પ્રવાસનને પ્રોત્સાહિત કરવા થાઇ સરકાર ગુજરાતમાં બનતા પ્રયાસો કરશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ઉદ્યોગકારોના પ્રતિનિધિમંડળની ગુજરાતની મુલાકાતથી એક વિશ્વાસનું નિર્માણ થયું છે એટલું જ નહીં, થાઇ કંપનીઓ ગુજરાતમાં મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ, બંદરીય વિકાસ સી ફૂડ જેવા ક્ષેત્રે રોકાણ કરવા ઉત્સુક થઇ છે. તેમણે ગુજરાતના પ્રભાવક આતિથ્ય સત્કારની અને આદરની ભાવનાની ખાસ નોંધ પણ લીધી હતી.
સમાપન સમારંભ દરમિયાન ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ મહેશ્વર શાહુએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સંપૂર્ણ માર્ગદર્શન અને નેતૃત્વમાં આ સમિટે તેના તમામ લક્ષ્યાંકો સંપૂર્ણ સિદ્ધ કર્યા છે. આ સમિટ નાવિન્ય, જ્ઞાન, સાતત્યપૂર્ણ વિકાસ અને યુવા સશક્તિકરણ પર કેન્દ્રીત હતી અને એ દિશામાં નક્કર પ્રવૃત્તિઓ થઇ છે.તેમણે ગત ર૦૧૧માં યોજાયેલી સમિટ સાથે ર૦૧૩ની વર્તમાન સમિટની સરખામણી કરતાં જણાવ્યું હતું કે, સમિટ અંતર્ગત ર૦૧૧માં ૬૭ જેટલી આનુષંગિક ઇવેન્ટસ યોજાઇ હતી. જયારે ર૦૧૩માં સમિટની સાથે અલગઅલગ ૧ર૭ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.