ઉત્તરાખંડ તબાહીની અસર : હવે બટાકાની કિંમત રડાવશે
જો કે આ અંગે કેન્દ્રનું કહેવું છે કે ઉત્તરાખંડ પ્રકોપની કોઇ પ્રતિકૂળ અસર બટાટાના ભાવ ઉપર નહીં પડે. કૃષિ ખાતાના આંતરિક અહેવાલ મુજબ ઉત્તરાખંડમાં બટાટાના ખરીફ પાકને તાજેતરના ભારે વરસાદથી નુકસાન થયું હોવાની શકયતા છે, પરંતુ તેની બટાટાની ઉપલબ્ધિ અને ભાવ ઉપર નોંધપાત્ર અસર પડવાની શકયતા નથી કારણ કે દેશના એકંદર ખરીફ બટાટાના ઉત્પાદનમાં રાજયનો હિસ્સો નજીવો છે.
ઉત્તરાખંડમાં 20,000થી 22,000 હેકટર વિસ્તારમાં ખરીફ બટાટાનું વાવેતર કરવામાં આવે છે. બટાટાના પાકની કાપણી શરૂ થઈ છે. ગયા વરસે ઉત્તરાખંડનું બટાટાનું ઉત્પાદન 4.34 લાખ ટન જેવું હતું, જયારે ભારતનું બટાટાનું ઉત્પાદન 41 લાખ ટન જેવું રહ્યું છે.
અહેવાલ મુજબ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં નવા ખરીફ બટાટાની આવકમાં ઘટાડા તરફી વલણ રહ્યું છે. પરિણામે નવા પાકનું વેચાણ સંગ્રહ કરેલા બટાટાની તુલનામાં ઊંચા ભાવે થાય છે. દેશની મોટાભાગની બટાટાની માગ ગયા વરસના બટાટાના પાકના સંગ્રહમાંથી પૂરી કરવામાં આવે છે.