25મી સપ્ટેમ્બર : સારથી એ જ, ‘કૃષ્ણ’ બદલાઈ ગયાં!
અમદાવાદ, 25 સપ્ટેમ્બર : ભારતીય રાજકારણ અને ભારતીય જનતા પક્ષ... બંનેમાં આજકાલ નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી સૌથી ચર્ચિત વ્યક્તિઓ છે. રાજકારણ અને પક્ષના આ બંને મહારથીઓ બુધવારે ભારતના હૃદય કહેવાતાં મધ્ય પ્રદેશમાં એક મંચ ઉપર બિરાજવાના છે. જોકે બંને એક જ પક્ષના નેતા છે અને તે હિસાબે જોઇએ તો આ કોઈ મોટી બાબત નથી કે બંને એક મંચ ઉપર દેખાવાના છે, પરંતુ સમય, સંજોગો અને ગણા-અણગમાની રુએ વિચારીએ, તો બુધવારનો દિવસ ભાજપ અને ભારત બંને માટે મહત્વનો ગણાશે.
વાત જ્યારે સમય અને સંજોગોની જ છે, તો બુધવારની તારીખ અને મહીનો પણ ભાજપ અને ભારત બંને માટે ઐતિહાસિક સમય અને સંજોગો કરતાં ઓછા નથી. બુધવારે તારીખ 25 છે અને મહીનો સપ્ટેમ્બર. ભાજપ અને લાલકૃષ્ણ અડવાણી તથા શક્ય છે કે આ દેશ પણ કદાચ આ તારીખ અને મહીનો ક્યારેય નહીં ભુલાવી શકે, કારણ કે આ એ જ તારીખ છે કે જ્યાંથી ભારતના રાજકારણમાં ભાજપના ઉદયના બી વવાયા હતાં અને એ બી રોપનાર હતાં લાલકૃષ્ણ અડવાણી, તો બીજી બાજુ એ બીની સારસંભાળ લેનાર હતાં નરેન્દ્ર મોદી. 25 સપ્ટેમ્બર બુધવારે પણ છે અને દર વર્ષે આ તારીખ આવે જ છે, પરંતુ બરાબર 23 વર્ષ પહેલાં આવેલી આ તારીખે ભારતીય ઇતિહાસમાં એક મહત્વનું પાનું ઉમેરાઈ રહ્યુ હતું. 23 વર્ષ અગાઉ સોમનાથમાંથી એક રથ નિકળ્યો હતો. ભાજપના એક રથના રથી હતાં લાલકૃષ્ણ અડવાણી તથા સારથી હતાં નરેન્દ્ર મોદી. બુધવારે 23 વર્ષ બાદ અડવાણી-મોદી એક મંચ ઉપર હશે, પણ મોદી આજેય સારથી તરીકે અકબંધ છે, જ્યારે રથ પણ ભાજપનો જ છે. બદલાઈ ગયાં છે રથી એટલે કે લાલકૃષ્ણ. ભાજપા માટે પણ, નરેન્દ્ર મોદી માટે પણ અને સમય તથા સંજોગો માટે પણ આ રથી બદલાઈ ચુક્યાં છે.
ભોપાલ ખાતે બુધવારે એટલે કે 25મી સપ્ટેમ્બર, 2013ના રોજ જ્યારે લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી એક મંચ ઉપર બિરાજવાના છે, ત્યારે અનાયાસે જ નહીં, પણ પ્રયત્નપૂર્વક 23 વર્ષ અગાઉનો એ દિવસ અને મહીનો યાદ કરવો જ રહ્યો કે જ્યારે લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી એક જ મંચ ઉપર હતાં. એક મંચ હતો સોમનાથથી અયોધ્યા તરફ પ્રયાણ કરનાર રથ. અડવાણી 1990માં 25મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં સૌરાષ્ટ્ર મધ્યે આવેલ દ્વાદશ જ્યોતિર્લિંગોમાંના એક સોમનાથ મહાદેવ મંદિરેથી અયોધ્યા સુધીની રામ રથયાત્રાએ નિકળ્યા હતાં. રામ મંદિર નિર્માણ તથા તે માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી અડવાણીએ આ રથયાત્રા કાઢી હતી અને તેમના રથના સારથી હતાં નરેન્દ્ર મોદી.
આવો તસવીરો સાથે જાણીએ મોદી-અડવાણીની કહાણી :

રથી અડવાણી, સારથી મોદી
જો સૌ એ બાબતથી વાકેફ છે કે સોમનાથ-અયોધ્યા રામ રથયાત્રાની સફળતામાં અડવાણીના રથના સારથી મોદીનો સૌથી મોટો ફાળો હતો, તો એ પણ જણાવવાની જરૂર નથી કે આ રથયાત્રાની સફળતાએ જ અડવાણીનું કદ વધાર્યુ હતું, તો ભાજપ રાષ્ટ્રીય કક્ષાએ છવાઈ ગયો હતો. તે વખતે ભલે પક્ષમાં અટલ બિહારી બાજપાઈ અડવાણી કરતાં મોટા કદના નેતા હતાં, પરંતુ લોકપ્રિયતાની બાબતમાં અડવાણી સૌથી આગળ હતાં અને અડવાણીની આ સફળતાનો શ્રેય તેમના રથના સારથી એટલે કે નરેન્દ્ર મોદીને ગણવામાં આવતા હતાં.

બહુ જમાવ્યો રંગ
તે પછી તો અડવાણી-મોદીની આ જોડીએ બહુ રંગ જમાવ્યો. મોદીએ અડવાણીની રાજકીય સફળતામાં તથા તેમની દરેક રથયાત્રામાં સારથી તરીકે ભૂમિકા ભજવી, તેનો બદલો અડવાણ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બેસાડીને જ નહીં, પણ સતત તેમની ખુરશી બચાવીને પણ આપતા રહ્યાં.

અને પડી તિરાડ
જોકે અડવાણી-મોદીની આ જોડીમાં પહેલી વાર તિરાડ ત્યારે પડી કે જ્યારે અડવાણીએ પાકિસ્તાનમાં જઈ મહોમ્મદ અલી ઝીણાના વખાણ કરી નાંખ્યાં. અડવાણીના આ નિવેદન અંગે સંઘ અને વિહિપ નારાજ થયાં, તો પક્ષની અંદર પણ અનેક નેતાઓ તેમનો વિરોધ કર્યો. બસ, અહીંથી જ મોદીએ અડવાણીનો સાથ છોડ્યો. મોદીનો સાથ ન મળતાં અડવાણી નારાજ થયાં અને મૈત્રીની આ ચમક ધીમે-ધીમે ફીકી પડતી ગઈ.

સદ્ભાવનામાં હાજરી
અડવાણી-મોદી વચ્ચે તિરાડ પડ્યા છતાં અડવાણી મોદીના સદ્ભાવના ઉપવાસમાં હાજર રહ્યા હતાં અને તેમના વખાણ પણ કર્યા હતાં.

મોદીએ કદ વધાર્યું
સદ્ભાવના ઉપવાસ તથા ગુજરાતમાં સતત ચૂંટણીઓ જીતતા નરેન્દ્ર મોદીએ પોતાનું કદ ધીમે-ધીમે એટલું વિરાટ કરી નાંખ્યું કે જેની સામે અડવાણીની વરિષ્ઠતા પણ ઝાંકી પડી ગઈ. નરેન્દ્ર મોદી આજે ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થઈ ચુક્યાં છે, જ્યારે આ બાબતથી નારાજ લાલકૃષ્ણ અડવાણી પક્ષમાં જ એકલાં પડી ગયાં છે. મોદી-અડવાણીના સંબંધો એટલા બધા તંગ બની ગયાં કે હવે તેઓનું એક મંચ પર આવવું પણ એક સમાચાર બને છે.

ઘણાં પાણી વહી ગયાં
એટલે જ તો બુધવારે જ્યારે અડવાણી અને મોદી એક મંચ ઉપર આવી રહ્યાં છે, ત્યારે 23 વર્ષ અગાઉની તારીખ અને મહીનો એટલે કે 25મી સપ્ટેમ્બર, 1990નો એ દિવસ સાંભરી આવે છે. આજે એ સમય અને સંજોગોને વીત્યે 23 વર્ષના વાણા વીતી ગયાં. આ દરમિયાન જો અયોધ્યા ખાતેની સરયૂ નદીમાં ઘણા પાણી વહી ગયાં, તો દિલ્હીની યમુના કે અમદાવાદ-ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતીના પાણી પણ સ્થિર નથી રહ્યાં અને સોમનાથની હિરણ નદીના પણ કેટલાંય પાણી દરિયાના મોજાઓમાં ભળી ચુક્યાં છે.

પાસે સભી પલટ ગયે
25મી સપ્ટેમ્બર, 1990 અને 25મી સપ્ટેમ્બર, 2013 બંનેમાં 25મી સપ્ટેમ્બર તો કૉમન જ છે, પરંતુ બદલાઈ ગયું છે તો માત્ર વર્ષ. તેવી જ રીતે 23 વર્ષ અગાઉના રથ અને સારથી પણ કૉમન જ છે એટલે કે 23 વર્ષ અગાઉ પણ રથ તો ભાજપનો જ હતો અને સારથી પણ નરેન્દ્ર મોદી જ હતાં, બસ બદલાયાં છે માત્ર રથી. આજે પણ રથ તો ભાજપનો જ છે અને સારથી પણ નરેન્દ્ર મોદી જ છે, પણ રથી અડવાણી નહીં, બલ્કે સમગ્ર ભાજપ પક્ષ બની ગયો છે. તે વખતના સારથી મોદી માત્ર અડવાણીનો રથ ખેંચી રહ્યાં હતાં અને ભાજપનો રથ અડવાણીના હાથમાં હતો, જ્યારે આજે 23 વર્ષ પછી મોદી ઉપર સારથી તરીકે આખે આખા ભાજપના રથને ખેંચવાની જવાબદારી છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
