શ્વેતક્રાંતિના પ્રણેતાની ફિલોસિફીથી વિપરિત અમૂલ્ય અમૂલ !!
નડીયાદ, [રાકેશ પંચાલ] આણંદ ખાતે સ્થપાયેલી અમૂલ ડેરી જીલ્લાનું જ નહી જ પરંતુ ગુજરાતનું ગૌરવ છે. દૂધના વ્યવસાયને વૈજ્ઞાનિક ધોરણે હાથ ધરીને આ ડેરીએ ગુજરાતમાં શ્વેતક્રાંતના પગરણ માંડ્યા છે. પશુપાલન દ્વારા ખેડૂતોને પુરક આવક મેળવવાનું એક મહત્વનું સાધન પૂરૂં પાડ્યું છે. આજે તે એક વિશ્વ વિખ્યાત સંસ્થા બની છે.
પરંતુ છેલ્લા અમુક વર્ષોથી દૂધના વધેલા ભાવોએ આમ જનતાને પરેશાન કરીને મૂકી દીધા છે. તો દૂધના વધી રહેલા ભાવ ઉત્પાદકોને વધારેને વધારે પશુપાલન ક્ષેત્ર સાથે વધારે આકર્ષી રહ્યાં છે.
દૂધના ભાવ કેમ વધી રહ્યાં છે તેના પાછળનું કારણ અમૂલ ડેરીના સત્તાધીશો પાસે અનેક છે. પરંતુ દેશની જનતા પાસે આ ભાવવધારો સહન કર્યા સિવાય અન્ય કોઈ માર્ગ નથી. તેવી પરિસ્થિતિમાં દૂધની નગરી આણંદમાં અનેક લોકો સાથે દૂધમાં વધી રહેલા ભાવ અંગે તેમના મંતવ્યો જાણવાની કોશિષ કરી. જેમાં તેમણે પોતાના પ્રતિભાવ આપ્યાં છે.
મોટાભાગના લોકો માને છે કે પશુપાલનમાં પશુઆહારની કિંમતમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે અને તેની અસરથી આ દૂધનો ભાવ વધી રહ્યો છે. અમુક લોકો માને છેકે ડેરી ઉદ્યોગ હવે અન્ય ઉદ્યોગની જેમ બની ગયો છે. જેની નજર માત્ર નફા ઉપર રહેતી થઈ ગઈ છે.
વધુ સમાચાર વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ
ચાર વર્ષમાં દૂધનો ભાવ 63 ટકાનો વધારો
વર્તમાન સમયમાં ગ્રામીણ વિસ્તારો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. તે સત્ય છે. જેમાં ગુજરાતમાં કુલ 42 લાખ પરિવારોની સંખ્યા છે જે પશુપાલન સાથે સંકળાયેલા છે. તેવી પરિસ્થિતિમાં જીસીએમએમએફની આણંદ ખાતે ચાલુ વર્ષે મળેલી વાર્ષિક સાધારણ સભામાં દૂદના વધી રહેલા ભાવ બાબતે ઉલ્લેખ થયો હતો. જેમાં સત્તાધીશોએ જણાવ્યું હતું કે પશુદાણના ભાવમાં સતત વધારો થતો રહે છે. તેવી પરિસ્થિતિમાં પશુપાલકે મોંઘી કિમતે ખરીદીને પણ પશુઓને ખોરાક આપવો પડતો હોય છે. જે કારણોસર છેલ્લા ચાર વર્ષમાં દૂધનો ભાવ 63 ટકા વધ્યો છે. જેથી ખેડૂતોને દૂધનો સારો ભાવ આપી શકાય છે અને જેના પરિણામે દૂધના ઉત્પાદનમાં વધારો થયો છે. ચાર વર્ષમાં ખેડૂતોને ચૂકવાતાં દૂધના ભાવમાં પ્રતિલિટર રૂપિયા 14નો વધારો થવા પામ્યો છે.
ડેન્માર્ક જેવા દેશોમાં ઘાસચારો મફત
જીસીએમએમએફે જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદનમાં પ્રથમ નંબરે આવતા દેશોમાં ઘાસચારો મળી રહે છે. ડેન્માર્ક જેવા દેશોમાં ઘાસચારો મફત મળે છે. જ્યારે અહીંના પશુપાલકોની પરિસ્થિતિ ઘણી અલગ છે. અહીનાં પશુપાલકો વરસાદ પડે ત્યારે ખેતીની સાથે પશુઓ માટે ઘાસચારાનું વાવેતર કરી દે છે.
પશુપાલકોનું વળતર વધારવા માટે વધારો
અમૂલ ડેરીના સત્તાધીશો દ્રારા ચાલુ વર્ષે અપાયેલા નિવેદનો પર નજર કરીએ જેમાં ગાંધીનગર ખાતે એગ્રીકલ્ચર સમિટમાં અમૂલના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે લોકોએ દર વર્ષે દૂધમાં આઠથી દસ ટકાના ભાવવધારા માટે તૈયાર રહેવું પડશે. દૂધના ઉત્પાદન અને ખરીદીમાં વૃદ્ધિ નોંધાઈ રહી છે. પરંતુ ઉત્પાદન ખર્ચમાં જે વધારો થઈ રહ્યો છે. તે ધ્યાનમાં લેતા પશુપાલકોનું વળતર વધારવા માટે વધારા થતાં જ રહેશે. હાલનો સમય એ દૂધના ઉત્પાદનનો સ્વર્ણિમ યુગ છે. દૂધના પ્રોત્સાહક ભાવો મળવાથી નવી પેઢી પશુપાલન સાથે જોડાઈ રહી છે.
વરસાદ પડશે તો પરિસ્થિતિ અતિ વિકરાળ બનશે
હવે વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ ઓક્ટોમ્બર સુધી લંબાયેલા વરસાદે ઘાસચારો પેદા થવા દીધો છે. આ ઉપરાંત ખેડૂતોના પાક પણ નષ્ટ થઈ ગયા છે. તેવી પરિસ્થિતિમાં ખેડૂતોની નજર હવે ડાંગરના પૂળા તરફ છે. અને જો હવે તે વખતે પણ વરસાદ પડશે તો પરિસ્થિતિ અતિ વિકરાળ જોવા મળશે.
આગામી દસ વર્ષમાં દૂધ 100 રૂપિયે પ્રતિ લિટરે ખરીદવું પડશે
જાણકારોના મતે આગામી દસ વર્ષમાં દૂધ 100 રૂપિયે પ્રતિ લિટરે ખરીદવું પડશે. તેવી પરિસ્થિતિમાં દરેકને એકસરખો પ્રશ્ન કરવામાં આવ્યો કે જેમાં દરેકે પોતાની રીતે જવાબ આપ્યાં છે. શું તમે માનો છો કે દૂધના વધી રહેલા ભાવ યોગ્ય? આ પ્રશ્નના જવાબમાં ચરોતરવાસીઓ દ્રારા પોતપોતાના મંતવ્યો અહીં લખવામાં આવ્યાં છે.
તો ચા બની જશે સ્ટેટ્સ સિમ્બોલ
આણંદના ઉમંગ ભાવસાર જણાવી રહ્યાં છે કે કદાચ આ પ્રકારે જો દૂધનો ભાવ વધતો રહેશે તો ચ્હા પણ દૂર થઈ જશે. મંતવ્ય સિવાય હકીકતની વાત કરીએ તો વર્તમાન સમયમાં નડિયાદ શહેરની વાત કરીએ તો ચા કીટલીએ છ રૂપિયા અને મલ્ટીપ્લેક્સમાં વીસ અને ત્રીસ રૂપિયે એક કપ ચા વેચાઈ રહી છે. તો આણંદના ખ્યાતનામ મલ્ટીપ્લેક્સ અને ચાની કીટલીએ નડિયાદ જેવા જ ભાવે ચા મળી રહી છે. જે સામાન્ય માણસ બિન્દાસ પણ પોતાના મિત્રવર્તુળ કે સહકર્મચારી સાથે ટાઈમપાસ માટે ચા પીતો હતો હવે તે પણ વિચારીને ચાની કીટલી તરફ જાય છે. તેવી પરિસ્થિતિમાં આગામી વર્ષોમાં ચા સ્ટેટ્સ સિમ્બોલ બની જાય તો નવાઈ નહીં.
લોકો દૂધ પાવડર તરફ વળ્યા
જોકે અમુક જાગૃત વર્ગ જણાવી રહ્યો છે કે દૂધ કરતા દૂધના પાવડરની ચા સસ્તી પડે છે. કારણ કે દૂધનો પાવડર વિદેશથી આવે છે અને ત્યાં દૂધ ઘણું સસ્તુ છે. અમુક વર્ગ એવો પણ છે જેમાંના અજીત ચૌહાણ માને છે કે પશુપાલન ક્ષેત્રની પોતાની સમસ્યા છે. પશુપાલન માટે જરૂરી દાણના ભાવ જોરદાર રીતે વધી રહ્યાં છે. જેની અસરથી દૂધનો ભાવ વધી રહ્યો છે. તેવી પરિસ્થિતિમાં પશુપાલકોને સસ્તા ભાવે દાણ આપવામાં આવે તે પ્રકારનું આયોજન જરૂરી બની ગયું છે. આ વર્ગ મક્કમપણે માને છેકે પશુઆહારના ભાવને કાબૂમાં કરવામાં આવશે તો જ દૂધનો ભાવ કાબૂમાં આવશે, નહીંતર આ પ્રકારે પ્રજાને દૂધનો ભાવ વધારો સહન કરતા રહેવું પડશે.
મંડળીઓ અને વચેટીયાઓને જ દૂધના ભાવનો ફાયદો
આથી વિપરિત અમુક વર્ગ માને છે કે દૂધના ભાવમાં વધારો થવાની પશુપાલકોને કેટલા અંશે ફાયદો થઈ રહ્યો છે તે જાણવું જોઈએ. તેઓ ચોક્કસપણ માને છેકે દૂધની મંડળીઓ અને વચેટીયાઓને જ દૂધના ભાવનો ફાયદો થાય છે. બાકી પશુપાલકોની સ્થિતિ તેવીને તેવી જ છે. પરંતુ આ કારણે મધ્યમવર્ગના ખિસ્સા ખાલી થઈ જાય છે.
દૂધના ભાવ વધારાની મલાઈ કોઈ બીજુ જ ખાઈ રહ્યું છે
ખેડૂતલક્ષી બાબતને પણ લોકોએ ઉજાગર કરી હતી. જેમાં તેમનું માનવું છે કે અનેક ખેતી કામ કરનારા મોટાભાગના લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે. દૂધના ભાવ વધારાથી ખેડૂતોને શું ફાયદો થઈ રહ્યો છે તે જાણવું જરૂરી છે. પરંતુ તેઓ માને છેકે ખેડૂતોને કોઈ ફાયદો થયો હોય તેમ જણાતું નથી. જોકે અમુક યુવાનો એમ પણ માને છે કે ડૉ.કુરિયનની જરૂર છે. પરંતુ કમનસીબે તેઓ હવે હયાત રહ્યાં નથી. બાકી વર્તમાન સમયમાં બીજા લોકો દૂધમાંથી કેવી રીતે વધારે નફો લેવો તે નજરે જ કામ કરી રહ્યાં છે. અનેક લોકોનું માનવું છે કે દૂધના ભાવ વધારાની મલાઈ કોઈ બીજુ જ ખાઈ રહ્યું છે બાકી તો દૂધ વેચનારા અને લેનારા બન્ને પીસાઈ રહ્યાં છે.
ડૉ. કુરિયનની ફિલોસોફી
આ અંગે કેતન પટેલે ડૉ. કુરિયનની ફિલોસોફી લોકો સમક્ષ મૂકી છે. દૂધ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચવું જોઈએ. પરંતુ મોર્ડન ફિલોસફી પ્રમાણે ડેરી ઉદ્યોગ એક અન્ય ઉદ્યોગોની જેમ ઉદ્યોગ જ છે. અને તેનો નફો દર વર્ષે નવા નવા શિખરે પહોંચવો જોઈએ.