વિશ્વ હૃદય દિવસ: જાણો 29મી સપ્ટેમ્બર અને દિલનું શું છે કનેક્શન
(રાકેશ પંચાલ), 29 સપ્ટેમ્બર: દરેક જીવંત મનુષ્ય, પશુ, પક્ષીઓ માટે દિલ અત્તિમહત્વનું અંગ છે. પરંતુ માનવ સમાજમાં પ્રેમનું પ્રતિકસમું બનેલું દિલ કોઈના જીવનમાં તૂટે તો જાણે આભ તૂટે. આપણું છોકરું દિલ કેવું હોય તે ન જાણે પરંતુ તેની વેદના શાળાના પગથિયેથી સમજી જાય છે. પોતાને માનસિક રીતે ખુશ રાખવા અથાગ પ્રયત્નો દિવસ દરમિયાન કરીએ છીએ તેમા કોઈ બેમત નથી પરંતુ આપણી લાગણી, ભાવનાઓ સાથે જોડાયેલ દિલને શારિરીક રીતે કેવી રીતે સ્વસ્થ રાખવું તેનાથી અજાણ છીએ. અને તેનો પુરાવો આંકડાઓ આપી રહ્યાં છે.
આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2015માં વિશ્વમા હૃદયરોગના જેટલા દર્દીઓ હશે તેમાથી 60 ટકા દર્દીઓ ભારતના હશે. 2020ની સાલમાં 2.6 મિલિયન ભારતીય લોકોનું મૃત્યુ હૃદયરોગના કારણે થશે
હવે થાય કે 29મી સપ્ટેમ્બર અને દિલનું શું કનેક્શન છે. તો જાણી લો વિશ્વ હૃદય દિવસ દર વર્ષે સપ્ટેમ્બર મહિનાની 29 તારીખે ઊજવવામાં આવે છે. શરૂઆતમાં વર્લ્ડ કોંગ્રેસ ઓફ કાર્ડિયોલોજી અને વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા છેલ્લા 1999થી સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે વિશ્વ હૃદય દિવસ ઊજવવામાં આવતો હતો, પરંતુ 2011થી સપ્ટેમ્બરના છેલ્લા રવિવારને બદલે સપ્ટેમ્બર મહિનાની 29 તારીખે જ આ દિવસ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
વિશ્વ હૃદય દિવસનો મુખ્ય હેતુ
વિશ્વ હૃદય દિવસના દિને હૃદયને લગતાં રોગ, હાર્ટએટેક અંગેની કેટલીક ગેરમાન્યતાઓ અંગેની જાણકારી મેળવીને લોકો વધુ જાગૃત થાય તેમજ આ દિવસની ઉજવણીથી વધુને વધુ લોકો સુધી સચોટ માહિતી પહોંચશે તે મુખ્ય હેતુ છે.
હૃદયનો કરો વિચાર
આ ઉપરાંત હૃદયને સ્વસ્થ રાખવા અને તંદુરસ્ત જીવનશૈલી માટે રોજિંદા જીવનમાં કેવી કાળજી રાખવી. જેની પાછળનો ઉદ્દેશ તો ભાગદોડવાળા જીવનમાંથી થોડી ક્ષણ કાઢી હૃદયનો વિચાર કરવાનો છે.
ત્રાસવાદ કરતાં પણ ખતરનાક છે હૃદયરોગ
વિશ્વમાં ત્રાસવાદી પ્રવૃતિના કારણે વર્ષ 15,000ના મોત થાય છે પણ હૃદયને લગતી બિમારી દર વર્ષે બે કરોડ લોકોનો જીવ ભરખી જાય છે. તેમ છતા ત્રાસવાદ સામે જેટલી જાગૃતતા છે તેટલી જાગૃતતા હૃદયરોગને લગતી નથી.. પહેલા આ રોગ 50 કે 60 વર્ષની ઉંમરે થતો હવે આ રોગ 25 કે 34 વર્ષ ની ઉંમરે થતો જોવા મળે છે.
...અને વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો
દિલને આપણી ઈચ્છાઓ, ભાવનાઓ કે સુખ, દુખ સાથે કોઈ નિસ્બત નથી. પરંતુ આપણી લાગણી, ભાવનાઓનો સીધે સીધો સંબંધ અને માનિસક સ્થિતિ મગજની ઉપજ છે. ચોવીસ કલાક ધબકીને જીવન આપતું દિલ એક માત્ર સિસ્ટમનો ભાગ છે જેથી શિરાઓમાં વહેલા લોહીને વેગ આપવાનું કામ કરે છે. જેથી શિરાઓ મારફતે લોહી વહી શકે છે. પરંતુ દિલનો માનસિક સ્થિતિ, ભાવનાઓ સાથે સીધો સંબંધ નથી તેમ છતાં તમારી લાગણીઓ તેમજ માનસિક સ્થિતિની અસરથી દિલના ધબકારા વધી ઘટી શકે છે. તમારો ક્રોઘ, ખુશી, સુખ, દુ:ખને પલભરમાં પારખીને દિલ પોતાની ચાલ બદલે છે. અને જ્યારે બદેલાયેલી ચાલમાં મગજને જરૂરી લોહી પહોંચતું નથી ત્યારે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. અને જ્યારે દિલ ધબકારા અચાનક બંધ જાય તેને હાર્ટ ફેઈલ અથવા હાર્ટ એટેક પણ કહેવાય છે.
હાર્ટ એટેકના લક્ષણો
જેમાં હાર્ટના મસલ્સની કાર્યક્ષમતા ઓછી થવાથી શરીરમાં યોગ્ય માત્રામાં લોહી પહોંચાડતા નથી પરિણામે શ્વાસ ફૂલે છે, હાથપગમાં સોજા આવે છે, શરદી-ઉધરસ વારંવાર થાય છે. આ ઉપરાંત છાતીમાં ડાબી બાજુ દુખાવો થાય. આ દુખાવો પછી ધિરેધિરે ડાબા પડખામાં, ડાબા હાથમાં ચહેરાની ડાબી બાજુ પણ થાય. છાતીનું વચ્ચેનું હાડકું જેના નીચલા છેડે પેટમાં એકજ જગ્યાએ ખુબ દુખે. આંખો ચઢી જાય. નાડીના ધબકારા ખુબ વધી જાય. દર્દી બુમો પાડે અને આવા દર્દીને તાત્કાલીક હોસ્પિટલમાં લઈ જવામાં ના આવે તો હાર્ટ કામ કરતું બંધ થઈ જાય અને મૃત્યુ થાય.
હૃદયની બીમારીઓ માટે જીવનશૈલી જવાબદાર
હૃદયની મોટાભાગની તમામ બીમારીઓ માટે જીવનશૈલી જ કારણભૂત હોય છે. આશરે 90 ટકા હૃદયની સમસ્યાઓ જીવનશૈલી સાથે સંબંધિત હોય છે જેમ કે ધૂમ્રપાન, દારૂનું સેવન, વધુ પડતું ભોજન તેમજ કસરતનો અભાવ. જો તમે આ તમારી જીવનશૈલીમાં થોડું સકારાત્મક પરિવર્તન કરો તો તમે તંદુરસ્ત હૃદય ઉપરાંત અનેક બીમારીઓથી દૂર રહેશો.
ખોટી માન્યતાઓ
ખોટી માન્યતાઓ પર નજર કરીએ તો હૃદયની બીમારી યુવાનોને ન થાય, છાતીમાં તીવ્ર પીડા થાય એટલે હાર્ટ એટેક માની લેવો, ડાયાબિટીસની ગોળીઓ નિયમિત લેવાથી હૃદયને કંઇ નહીં થાય. હાર્ટનો રોગ વારસાગત માનીને અટકાવી ન શકાય, યુવાની દરમ્યાન જરૂર હોય તેમ છતાં કોલેસ્ટરોલની તપાસ ન કરાવવી, પગનાં દુખાવાને વધેલી ઉંમર સરખાવીને તેમજ હાર્ટ સાથે કોઈ સંબંધ નથી તેમ માની લેવું, જ્યારે હૃદય જોરથી ધડકે છે એનો મતલબ મને હાર્ટ એટેક આવશે તેમ માની લેવું, હાર્ટ એટેક આવ્યા પછી કસરત ન કરાય તેવી ખોટી ધારણાઓ પ્રવર્તી રહી છે.