14 વર્ષથી અનોખા કારણે ભારતના આ ગામ નથી ફોડતા ફટાકડા
દિવાળીની ઉજવણીમાં ફટાકડા ફોડવા એક રીત બની ગઈ છે. પરંતુ આ ફટાકડાથી પર્યાવરણ અને લોકોને બહુ નુકસાન થાય છે. આ અંગે વધુ વાંચો અહીં..
દિવાળી એટલે દિપોનો ઉત્સવ. દિવાળીની રાતે લોકો પોતાના ઘરને અલગ અલગ રંગની રોશની અને દિવાઓથી સુશોભિત કરતા હોય છે. મા લક્ષ્મીને પ્રસન્ન કરવા તથા ભગવાન રામના વનવાસથી પરત ફરવાની ખુશીને વ્યક્ત કરવા લોકો રંગોળી કરતા હોય છે. પરંતુ આ ઉત્સવમાં ફટાકડાઓ નવી ફેશન બની ગઈ છે. આ દિવસોમાં લાખો રૂપિયાના ફટાકડા ફોડીને લોકો ઉજવણીના નામે પર્યાવરણને પ્રદૂષિત કરે છે. જેથી ભારત સરકારે આ વર્ષે અમુક રાજ્યોમાં ફટાકડા ફોડવાની મનાઈ કરી છે. પરંતુ શું તમે જાણો છો કે, આપણા દેશમાં કેટલાક એવા પણ રાજ્યો છે જે ઘણા દાયકાઓથી દિવાળીએ ફટાકડા ફોડતા જ નથી.
તમિલનાડુના 8 ગામ
તમિલનાડુમાં કુલ 8 એવા ગામ છે, જ્યાં તેઓ દિવાળી તો ઉજવે છે, પરંતુ ઉજવણીના ભાગ રૂપે ફટાકડા નથી ફોડતા. પક્ષી અભ્યારણની સુરક્ષા માટે આ ગામના લોકો છેલ્લા 14 વર્ષ ફટાકડા નથી ફોડતા. ઇરોડ જિલ્લાના વેલ્લોડમાં આવેલા પક્ષી અભ્યારણમાં ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી દેશ-વિદેશથી ઘણા પ્રવાસી પક્ષીઓ અહીં આવતા હોય છે. ફટાકડાના અવાજને કારણે આ પક્ષીઓ ડરી જાય છે. તેથી આ વિસ્તાના લોકોએ પોતાની ઇચ્છાથી જ આ દિવસોમાં ફટાકડા ન ફોડવાનો નિર્ણય કર્યો હતો.
નથી ફોડતા ફટાકડા
200 એકરમાં ફેલાયેલા વેલ્લોડ અભ્યારણમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડથી પક્ષીઓ આવે છે. આ વિસ્તારમાં વિદેશથી આવતા પક્ષીઓના ઇંડા પણ જોવા મળે છે. પ્રવાસી પક્ષીઓના સમયગાળામાં જ દિવાળી આવતી હોય છે. તેથી ગામના લોકો તે પક્ષીઓ કોઇ પણ પ્રકારના ડર વગર રહે તે માટે સ્વૈચ્છિક રીતે જ ફટાકડા ફોડતા નથી. નાના બાળકો દિવાળીએ ફુલઝરી કરીને જ આનંદિત થતા હોય છે.
પર્યાવરણ અને વન્ય જીવ
દિવાળીમાં ફોડવામાં આવતા ફટાકડાથી અનેક પ્રાણીઓ પણ ડરી જાય છે અને પર્યાવરણને નુકસાન થાય છે. ફટાકડાના મોટા અવાજથી પક્ષીઓ ઉપરાંત કુતરા અને બિલાડી જેવા પ્રાણીઓ પણ ડરી જાય છે. ફટાકડાના અવાજથી તેઓ એક જગ્યાએ બેસી નથી શકતા અને આમ-તેમ દોડે છે. આ ઉપરાંત લોકોતથા પર્યાવરણને ફટાકડાના ધુમાડાના કારણે પણ ઘણું નુકસાન થાય છે.
આ વર્ષથી શુભ શરૂઆત
તમિલનાડુના ઇરોડ ગામના લોકો આટલા વર્ષોથી પર્યાવરણ અને વન્યજીવની રક્ષા માટે દિવાળીની ઉજવણીમાં ફટાકડા ફોડતા નથી. ભારત સરકારે પણ આ દિશા તરફ વિચારીને એક નવી શરૂઆત કરી છે. તો લોકો પણ આ દિવાળી ફટાકડા ફોડીને પૈસાનો ધુમાડો કરવા કરતા ગરીબ લોકોને થોડી મિઠાઇ અને કપડા તથા પ્રાણીઓને ભોજન આપીને કોઈની દિવાળીમાં પ્રકાશ ફેલાવી શકે છે.