દુનિયાના 100 દેશોમાં ઉજવાય છે શિક્ષક દિન, ગૂગલે પણ કરી ઉજવણી
આજે પાંચમી સપ્ટેમ્બર એટલે ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ, જેને આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શુભકામનાઓ પાઠવી. આ ઉપરાંત ગૂગલે શું કર્યુ વાંચો અહી.
5 સપ્ટેમ્બર એટલે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ, જેને આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. શિક્ષક એ કોઈ પણ દેશનો પાયો છે. શિક્ષકો વિદ્યાર્થીને જેવા બનાવવા માંગે તેવા વિદ્યાર્થીઓ બને છે અને એ જ વિદ્યાર્થી દેશનું આવનારું ભવિષ્ય હોય છે. શિક્ષકને હંમેશા ભગવાનના સ્થાને રાખનામાં આવે છે. એટલે જ આપણે 'ગુરૂ બ્રહ્મા , ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા. ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ: શ્રી ગુરૂદેવ નમ:' કહીએ છીએ.
|
વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને સમગ્ર દેશને શિક્ષક દિવસની શુભકામનાઓ આપી હતી. ડૉ. એસ. રાધાકૃષ્ણને જીવનના 40 વર્ષ શિક્ષક તરીકે ફરજ બજાવી હતા. પોતાના જીવનના આટલા વર્ષો શિક્ષણ પાછળ ખર્ચનાર ડૉ.એસ.રાધાકૃષ્ણનનો શિક્ષણ ક્ષેત્રો ફાળો નોંધપાત્ર છે. જેને યાદ કરતાં પીએમ મોદીએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ પણ આર્પી હતી.
ગૂગલે કરી ઉજવણી
સર્ચ એન્જિન ગુગલે પણ આ દિવસની ઉજવણી કરતા એક સુંદર ડુડલ બનાવ્યું છે. આ ડુડલમાં એક વ્યક્તિના એક હાથમાં લાકડી અને બીજા હાથમાં પુસ્તક જોવા મળે છે. શિક્ષક ભણાવી રહ્યા છે અને બાળકો ભણી રહ્યા હોય તેવું આ દ્રશ્ય લાગે છે. આ ડુડલને જોતા જ તમને તમારા શાળાના દિવસો જરૂર યાદ આવી જશે.
કોણ હતા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન?
સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દક્ષિણ ભારતના તિરૂત્તનિ ગામમાં થયો હતો, જે ચેન્નઇથી 65 કિમીના અંતરે આવેલુ છે. રાજકારણમાં જોડાતાં પહેલાં તેમણે 40 વર્ષ સુધી શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. તેમનું માનવું હતું કે, શિક્ષણ ન મેળવનાર વ્યક્તિ ક્યારેય જીવનમાં કોઇ મંજિલ સુધી પહોંચી નથી શકતો. વ્યક્તિના જીવનમાં શિક્ષણ ખુબ જ જરૂરી છે.
ભારત રત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડૉ. રાધાકૃષ્ણન ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા. 1931માં અંગ્રેજો દ્વારા રાધાકૃષ્ણનને 'સર'ની પદવી આપવામાં આવી હતી, જો કે આઝાદી પછી ઔપચારિક રીતે આ પદવીની માન્યતા રદ્દ થઇ હતી. જ્યારે તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા ત્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેમના મહાન, દાર્શનિક અને શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામ બદલ ભારત રત્ન આપી તેમનું સન્માન કર્યું હતું.
યુનેસ્કો દ્વારા માન્ય શિક્ષક દિન
આમ તો 5 સપ્ટેમ્બર ડૉ. રાધાકૃષ્ણનનો જન્મ દિવસ છે, તેમણે જ શિક્ષકોને સન્માન મળે એ હેતુથી આ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાની વાત કહી હતી. આથી યુનેસ્કોએ ઇ.સ.1994માં 5 ઓક્ટોબરને શિક્ષક દિવસ તરીકે માન્યતા આપી હતી. ભારત સિવાય દુનિયાના બીજા 100 દેશોમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.