કાર પણ તિરંગો લગાવી રહ્યાં છો તો સાવધાન, જેલમાં જવાની આવી શકે છે નોબત, જાણો નિયમ
ભારતમાં સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ આવતા જ લોકો પોતાના વાહનો પર તિરંગા લગાવીને ફરતા હોય છે. હાલ 15 ઓગસ્ટ પહેલા પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં કાર પર તિરંગો લગાવવાનો અધિકાર તમામ લોકોને નથી. જો તમે આવુ કરી રહ્યાં છો તો જેલમાં જવાની નોબત આવી શકે છે.

સ્વતંત્રતા દિવસે લોકો તેમના વાહનો પર ત્રિરંગો ફરકાવે છે પરંતુ દરેકને આ કરવાની મંજૂરી નથી. ભારતીય ધ્વજ સંહિતા 2002 અનુસાર, દેશમાં માત્ર થોડા લોકોને જ તેમના મોટર વાહનો પર ત્રિરંગો ફરકાવવાનો કાનૂની અધિકાર છે.
રાષ્ટ્રીય ધ્વજ સંહિતા અનુસાર, જ્યારે ત્રિરંગો ક્યાંય પણ ફરકાવવામાં આવે છે ત્યારે તેની ભગવા પટ્ટી ટોચ પર હોવી જોઈએ. આ સિવાય ફાટેલો કે ગંદો ધ્વજ પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ છે.
જણાવી દઈએ કે, ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા 2002 પેરા 3.44 મુજબ, કાર પર રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો વિશેષાધિકાર માત્ર અમુક વ્યક્તિઓ પૂરતો મર્યાદિત છે. આમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને લેફ્ટનન્ટ ગવર્નર, ભારતીય મિશનના વડાઓ, વડાપ્રધાન, કેબિનેટમંત્રીઓ, રાજ્યના મંત્રીઓ, અને કેન્દ્રના નાયબ મંત્રીઓ, રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય મંત્રીઓ અને કેબિનેટ મંત્રીઓ તેમજ સ્પીકરનો સમાવેશ થાય છે.
આ સિવાય લોકસભા અને રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર, રાજ્યોમાં વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લેજિસ્લેટિવ કાઉન્સિલના સ્પીકર, રાજ્યોમાં લેજિસ્લેટિવ કાઉન્સિલના ડેપ્યુટી સ્પીકર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લેજિસ્લેટિવ કાઉન્સિલના ડેપ્યુટી સ્પીકર, ભારતના સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ, ઉચ્ચ ન્યાયાલયોના મુખ્ય ન્યાયાધીશો અને ઉચ્ચ ન્યાયાલયોના ન્યાયાધીશો તેમના સત્તાવાર વાહનો પર તિરંગો લગાવી શકે છે.
જણાવી દઈએ કે, નાગરિકોને ઘરમાં ત્રિરંગો લહેરાવવાની કે હાથમાં ધ્વજ લઈને ચાલવાની સ્વતંત્રતા છે. પરંતુ ખાનગી વાહનો પર ઝંડા લગાવવા એ કાયદેસર ગુનો છે.
જો કોઈ આમાં દોષી સાબિત થાય તો તેની સામે પ્રિવેન્શન ઓફ ઈન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ 1971 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. રાષ્ટ્રધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગીત જેવા ભારતના રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન કરવા બદલ વ્યક્તિને 3 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે.












Click it and Unblock the Notifications
