રોચક છે ભગવાન જગન્નાથની રથ યાત્રાનો ઈતિહાસ, 141 વર્ષથી ચાલી આવે છે આ પરંપરા
દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની રથયાત્રા નીકળે છે. આ રથયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ હર્ષોલ્લાસથી ભાગ લેતા હોય છે.
દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની રથયાત્રા નીકળે છે. આ રથયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ હર્ષોલ્લાસથી ભાગ લેતા હોય છે. ભારતમાં ઓરિસ્સામાં આવેલ જગન્નાથ પુરીની રથયાત્રા મુખ્ય છે. જ્યારે અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતમાં સૌથી મોટી રથયાત્રા છે. ઉપરાંત વડોદરા તથા સુરતમાં ઈસ્કોન દ્વારા પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ભગવાન જગન્નાથની પહેલી આરતી ઉતારીને રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવતો હોય છે.
ગુજરાતમાં છેલ્લા 141 વર્ષથી રથયાત્રાનું આયોજન થાય છે. દર વર્ષે અષાઢી બીજના દિવસે વહેલી સવારે 7 વાગ્યે જમાલપુરમાં આવેલ 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી રથયાત્રાનો પ્રારંભ થાય છે. બાદમાં અહીંથી 15 કિમીના અંતરે આવેલ ભગવાન જગન્નાથજીનું મોસાળ સરસપુરમાં આવેલ રણછોડરાયજીના મંદિરમાં ભગવાન જગન્નાથનું મામેરું કાઢવામાં આવે છે. અહીં ભગવાન જગન્નાથ વિરામ કરે છે અને હજારો ભક્તોને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે. રણછોડરાયજીના મંદિરે મૂર્તિને સ્નાન કરાવવામાં આવે છે. અહીં વિરામ કર્યા પછી જગન્નાથજી મંદિરે ભગવાનની મૂર્તિને પરત લાવવામાં આવે છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં ભગવાન જગન્નાથનો મહાઅભિષેક કરવામાં આવે છે.
મહા રસોડું
ભગવાન જગન્નાથજી પધારવાના હોય સરસપુરની 17 પોળમાં મહા રસોડાં તૈયાર કરવામાં આવે છે. આ રસોડામાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે લોકો 24 કલાક પહેલાં જ કામ શરૂ કરી દેતા હોય છે. આ વખતે 200 કિલો ગાંઠીયા, 180 ક્વિન્ટલ પુરી, 600 કિલો લાડવા, 500 કિલો મોહનથાળ, 1300 કિલો શાક અને 200 કિલો ખીચડી બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહા રસોડાની શરૂઆત ગરિબદાસજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. આ પરંપરા 1887માં શરૂ કરાઈ હતી. તે સમયે તેઓ રણછોડજી મંદિરના મહંત હતા.
સરસપુર આવી રીતે બન્યું ભગવાન જગન્નાથનું મોસાળ
સરસપુરને ભગવાન જગન્નાથના મોસાળ તરીકે ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે 141 વર્ષ પહેલાં જ્યારે પહેલી રથયાત્રા નીકળી ત્યારે તે રથયાત્રામાં મોટાભાગના સાધુ સંતો જ જોડાયા હતા. રથયાત્રા જગન્નાથ ભગવાનના મંદિરેથી નીકળીને સરસપુર પહોંચી ત્યારે રણછોજીરાયના મંદિરે સાધુસંતોના ભોજન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે રણછોડરાયજીના મંદિરે જ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જ્યાં ભગવાન થોડો સમય વિરામ કરે છે. ત્યારથી જ સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું છે. અહીં ભગવાન જગન્નાથનું મામેરું પણ કાઢવામાં આવે છે.
કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે નીકળી રથયાત્રા
ઉલ્લેખનીય છે કે રથયાત્રાના પર્વ નિમિત્તે અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર કડક સૂરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મંગળવારે રાત્રે ગોમતીપુર પોલીસે ગુડ્ડુ નામના એક શખ્સના ઘરની છત પરથી 1 ક્રૂડ બોમ્બ, 12 પાઈપ બોમ્બ અને દેશી બનાવટની પિસ્તોલ તથા કેરોસિનની બોટલો જપ્ત કરી હતી. જો કે પોલીસના ચોપડે આ શખ્સનું નામ બુટલેગર તરીકે નોંધાયેલ છે. ઘટનાને પગલે રથયાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત કડક કરી દેવામાં આવ્યો છે.
વરસાદ અને જગન્નાથ યાત્રા
એવું કહેવાય છે કે જગન્નાથ ભગવાનની યાત્રા દરમિયાન મોટાભાગે વરસાદ તેમને નવળાવે છે. જો ભગવાન જગન્નાથની યાત્રા દરમિયાન વરસાદ ન આવે તો ભક્તો રૂદન પણ રોતા હોય છે. આજે પણ અમદાવાદમાં રથયાત્રા દરમિયાન વરસાદે માઝા મૂકી છે.