સાચી તસવીર : રેશમના તાંતણે બંધાતો ‘સેક્યુલરિઝ્મ’નો તાર
અમદાવાદ, 20 ઑગસ્ટ : કોમી હિંસાના લાંબા ઇતિહાસ છતાં અમદાવાદ શહેરનો ધાર્મિક તેમજ સામાજિક તાણોવાણો પોતાની રીતે એક દૃષ્ટાંત છે. શહેરમાં ઉજવાતાં લગભગ તમામ ઉત્સવોમાં આ તાણાવાણાના દૃષ્ટાંતો જોવા મળે છે. તેમાં પણ રક્ષા બંધન જેવો સામાજિક તહેવાર તો ભારતના ઇતિહાસમાં પણ સામ્પ્રદાયિક સદ્ભાવનાનું દૃષ્ટાંત રજૂ કરી ચુક્યો છે કે જ્યારે દુશ્મનોથી ઘેરાયેલા રાણી કર્ણાવતીએ દિલ્હીના મુઘલ સમ્રાટ હુમાયૂને રાખડી મોકલી હતી. હુમાયુએ પણ કર્ણાવતીના રક્ષા સૂત્રને પુરતુ સન્માન આપી તેમની મદદ કરી હતી.
કર્ણાવતી-હુમાયૂની પરમ્પરા વર્ષે-દિવસે મજબૂત થતી રહી છે. તેમાં અમદાવાદ શહેરનો પણ ખાસ ફાળો છે કે જ્યાં હિન્દૂ ભાઇઓના હાથે બંધાતી રાખડીઓ મુસ્લિમ મહિલાઓ દ્વારા બનાવવામાં આવે છે. શહેરના મુસ્લિમ વસતી ધરાવતા શાહઆલમ તેમજ મિલ્લતનગર વિસ્તારોમાં હાલ ઘેર-ઘેર રાખડીઓનું નિર્માણ ચાલી રહ્યું છે. સવારથી દિવસ ભર મહિલાઓ રાખડી બનાવવાના કાર્યમાં વ્યસ્ત દેખાય છે.
ભૈરવનાથ રોડ-શાહઆલમ-મિલ્લતનગર વિસ્તારમાં રક્ષા બંધન આવતા છ માસ અગાઉ રાખડીઓ બનાવવાનું કાર્ય શરૂ થઈ જાય છે. ઝુંપડપટ્ટીઓમાં રહેતાં અહીંના લોકો માટે બે ટાઇમના રોટલા વધુ મહત્વનાં છે. પછી ફલે તે રાખડી બનાવીને જ કેમ ન મળે. દોસમ ખાન પઠાણની ચાલીમાં રહેતા એક મહિલા છેલ્લા 15 વર્ષોથી રાખડીનું નિર્માણ કરે છે. તેમનું કહેવું છે કે 12 ડઝન રાખડીઓનું એક ગ્રોસ હોય છે. એક ગ્રોસ રાખડી બનાવતાં 30-5 રુપિયા મજૂરી મળે છે. દિવસમાં તેઓ લગભગ સો રુપિયાનું કામ કરી લે છે. ઘરમાં છ સભ્યો છે. મોટાભાગની મહિલાઓ આ વસતીમાં આ જ કામ કરે છે.
દેશમાં 2002માં થયેલ ગુજરાતના કોમી રમખાણો અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મુદ્દે વારંવાર ગુજરાતની બિનસામ્પ્રદાયિકતાને કસોટીના એરણે મૂકવામાં આવે છે, પરંતુ અમદાવાદમાં રાખડી બનાવતી મુસ્લિમ મહિલાઓ રાજકારણીઓ દ્વારા પોતાના લાભમાં ઉઠાવવામાં આવતી દંભી બિનસામ્પ્રદાયિકતાની વાતને પડકાર ફેંકે છે.
ગુજરાતના રમખાણો અંગે દેશમાં ગુજરાતના બિનસામ્પ્રદાયિક વાતાવરણ અંગે સવાલો ઉઠાવવામાં આવતાં રહે છે અને આવા સવાલો ગુજરાત બહાર દિલ્હીથી લઈ અમેરિકા સુધી ઉઠાવાવામાં આવે છે. અમેરિકા તો આ મુદ્દે નરેન્દ્ર મોદીને વિઝા આપવા પણ તૈયાર નથી, પરંતુ જો ગુજરાતની અંદર ડોકિયું કરવામાં આવે, તો રાખડી બનાવતી આ મહિલાઓ આવી દંભી બિનસામ્પ્રદાયિકતાને મોટો પડકાર ફેંકે છે.