સૌથી પહેલા ભારતની આ જગ્યાએ 1942માં જ ફરકાવ્યો તિરંગો, આઝાદીના દિવાનાએ ઉખાડી ફેંક્યો યુનિયન જેક
માતા ભારતીના ગર્ભમાંથી જન્મેલા અસંખ્ય પુત્રો પણ અંગ્રેજ શાસનના હૃદયને હચમચાવી નાખવામાં વ્યસ્ત હતા. આવા જ એક પુત્રનું નામ છે હરિ પ્રસાદ મિશ્રા. વન ઈન્ડિયાની ખાસ રજૂઆત અનસંગ હીરોના આ એપિસોડમાં આજે હરિ પ્રસાદ વિશે જાણો.
નવી દિલ્લીઃ ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના છે. આ અવસર પર આખો દેશ બહાદુર સપૂતોને કૃતજ્ઞતાથી યાદ કરી રહ્યો છે. આ પુત્રોએ ભારતને અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એક સમયે જ્યારે બ્રિટિશ સરકાર ભારતીય જનતાને દરેક રીતે દબાવવામાં વ્યસ્ત હતી ત્યારે માતા ભારતીના ગર્ભમાંથી જન્મેલા અસંખ્ય પુત્રો પણ અંગ્રેજ શાસનના હૃદયને હચમચાવી નાખવામાં વ્યસ્ત હતા. ખુદીરામ બોઝ ભગતસિંહ જેવા યુવાનો પોતાની હિંમતથી અંગ્રેજોને હરાવી રહ્યા હતા. એવા ઘણા પુત્રો છે જેઓ વિસ્મૃતિમાં ખોવાઈ ગયા હશે પરંતુ દેશને આઝાદ કરવામાં તેમની ભૂમિકા નોંધપાત્ર રહી છે. આવા જ એક પુત્રનું નામ છે હરિ પ્રસાદ મિશ્રા. વન ઈન્ડિયાની ખાસ રજૂઆત અનસંગ હીરોના આ એપિસોડમાં આજે હરિ પ્રસાદ વિશે જાણો.
17 વર્ષની ઉંમરે આઝાદીનુ આંદોલન
હરિ પ્રસાદ મિશ્રાનો જન્મ 22 ઓક્ટોબર, 1925ના રોજ અવિભાજિત દરાંગ જિલ્લાના મેજર આતી નેપાળી ગામમાં થયો હતો. હવે આ જગ્યા સમર દલાની તરીકે ઓળખાય છે. સ્વર્ગસ્થ ગૌરી કાંતા મિશ્રા અને લીલાવતી મિશ્રાને ત્યાં જન્મેલા હરિ પ્રસાદ 1941માં સમર દલાની સરકારી જુનિયર બેઝિક સ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી 17 વર્ષની ઉંમરે ભારત છોડો ચળવળ તરફ આકર્ષાયા હતા. શિક્ષણ છોડીને યુવા હરિ પ્રસાદ દેશવ્યાપી ચળવળ તરફ આકર્ષાયા.
કોંગ્રેસમાં જોડાયા હરિ પ્રસાદ મિશ્ર
ભારત છોડો ચળવળ જેવી ઐતિહાસિક ચળવળની અસર ભારતના અન્ય ભાગોની જેમ આસામમાં પણ જોવા મળી હતી. તત્કાલીન આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જિલ્લા અને પ્રાદેશિક સમિતિઓ સાથે મળીને લોકોને રાષ્ટ્રીય ચળવળ વિશે જાગૃત કરવા અનેક કાર્યક્રમો શરૂ કર્યા. સભ્યપદ માટે ઘણી વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજ્ય કક્ષાના આગેવાનોએ કેન્દ્રીય ટીમના ઉદ્દેશ્યો અને નિર્ણયો જિલ્લા કક્ષાના આગેવાનો સાથે શેર કર્યા હતા. પક્ષના સ્વયંસેવકો જનતામાં સંદેશ ફેલાવવા માટે રોકાયેલા હતા. આ દરમિયાન હરિ પ્રસાદ મિશ્રાએ કોંગ્રેસ પાર્ટીનુ પ્રાથમિક સભ્યપદ લીધુ.
હરિપ્રસાદ મૃત્યુવાહિનીમાં શામેલ થયા
જ્યોતિ પ્રસાદ અગ્રવાલે ભારત છોડો આંદોલન દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે લોકોને જાગૃત કરવા અને સામાન્ય લોકોમાં દેશભક્તિની લાગણી જગાવવા માટે ઘણા દેશભક્તિ ગીતોની રચના કરી. અગ્રવાલે સ્વયંસેવકોની ભરતીમાં નોંધપાત્ર યોગદાન આપ્યુ હતુ. પાર્ટી તેમજ ડેથ સ્કવૉડ માટે સ્વયંસેવકોની ભરતી કરવામાં આવી રહી હતી. તેમણે તાલીમ શિબિરો પણ ગોઠવી. જ્યોતિ પ્રસાદ અગ્રવાલથી પ્રભાવિત થઈને હરિ પ્રસાદ ડેથ સ્ક્વૉડમાં જોડાયા. આ સમયે આસામ પ્રદેશ કોંગ્રેસ કમિટી (APCC)ના પ્રમુખ હેમચંદ્ર બરુઆ હતા અને સેક્રેટરી ઓમિયો કુમાર દાસ હતા. હરિ પ્રસાદે કોંગ્રેસના સ્વયંસેવકો સાથે તાલીમ પણ લીધી હતી. જ્યોતિ પ્રસાદ અગ્રવાલ ડેથ સ્ક્વૉડના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) પણ હતા.
નાયક નિયુક્ત થયા હરિપ્રસાદ
તાલીમ બાદ હરિ પ્રસાદને 'નાયક' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પોતાના પૈતૃક ગામના અન્ય છ યુવાનો સાથે તાલીમ લેનાર હરિ પ્રસાદે ભાગનબાડી નેપાળી ગામમાં તાલીમ લીધી હતી. ડેથ સ્કવૉડના GOC અને તેજપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના કન્વીનર બાપારામ ગોગોઈ બરુઆએ હરિ પ્રસાદ જેવા યુવાનોને તાલીમ આપી હતી. હરિ પ્રસાદ વિશે પોતાનો અભિપ્રાય આપતા બાપારામ ગોગોઈ બરુઆ લખે છે કે હરિ પ્રસાદ મિશ્રાને તે તાલીમ શિબિરમાં તાલીમ અપાયા બાદ સ્વયંસેવકોના જૂથના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
'નાયક'ને સૌથી જરૂરી કામ સોંપવામાં આવ્યા
જ્યારે હરિ પ્રસાદ નાયક બન્યા ત્યારે એ સમય હતો જ્યારે તત્કાલીન કોંગ્રેસ હાઈકમાન્ડને દિવસ-રાત એક સંકલિત અહેવાલ આપવો પડતો હતો. હરિ પ્રસાદ અને અન્ય સ્વયંસેવકોને કેટલીક અત્યંત ગોપનીય અને મહત્વપૂર્ણ ફરજો સોંપવામાં આવી હતી. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન 1947 સુધી કોંગ્રેસ ડેથ સ્ક્વૉડનો સૌથી ખતરનાક કાર્યક્રમ 'થાણે હસ્તક્ષેપ' અને 'તેઝપુર દરબારની કોર્ટ બિલ્ડિંગ પર ધ્વજ ફરકાવવો' હતો. કોંગ્રેસ સેવા દળ, તેજપુરના GOC બાપારામ ગોગોઈ બરુઆએ 9 જુલાઈ, 1976ના રોજ હરિ પ્રસાદને લઈને આ વાત કહી હતી.
ગ્રામીણો સાથે જોડાયેલા રહ્યા હરિ પ્રસાદ
સ્થાનિક સ્તરે કોંગ્રેસ પાર્ટીએ હરિ પ્રસાદ મિશ્રાને ડિટેક્ટીવની નોકરી આપી. તેમણે પાર્ટીના ભૂગર્ભ કાર્યકર તરીકે પણ કામ કર્યુ. ગામમાં હરિ પ્રસાદના નજીકના સાથીઓ તારાનાથ સરમા અને નિધિ પ્રસાદ શર્મા હતા. તેમણે ગ્રામ્ય સ્તરે શાંતિ અને સૌહાર્દ જાળવવાનુ કામ કર્યુ. હરિ પ્રસાદ મિશ્રાએ સૂતિયા(Soootea) અને જમુગુરી સમિતિ સાથે પણ સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા હતા.
લાંબા સમય સુધી અંડરગ્રાઉન્ડ રહ્યા
ગહનચંદ્ર ગોસ્વામી, બિજોયચંદ્ર ભગવતી અને ચંદ્રકાન્તા ભૂયણની ગણના હરિપ્રસાદ સમયના સાથીઓમાં થતી હતી. બિજોય ચંદ્ર ભગવતીએ લખ્યુ, હરિ પ્રસાદે 1942ના ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો. તેઓ ભૂગર્ભમાં ગયા અને છ મહિનાથી વધુ સમય સુધી આંદોલન સાથે જોડાયેલા રહ્યા. ઓક્ટોબર 1942થી એપ્રિલ 1943 સુધી ફરાર થયેલા હરિ પ્રસાદ વિશે ભગવતીએ 13 જુલાઈ 1984ના રોજ આસામના તેજપુરમાં નોંધ્યુ હતુ.
તિરંગો આઝાદીના 5 વર્ષ પહેલા ફરકાવ્યો
કોંગ્રેસ સમિતિના એજન્ડાના ભાગરૂપે 20 સપ્ટેમ્બર 1942ના રોજ સરકારી કચેરીઓ, કોર્ટ બિલ્ડીંગો અને પોલિસ સ્ટેશનો સહિત તમામ સરકારી સંસ્થાઓમાં એક સાથે ત્રિરંગો ફરકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુતિયા સમિતિએ સમય પહેલા તિરંગો ફરકાવવાનો નિર્ણય લીધો હતો. 20 ઓગસ્ટ 1942ના રોજ સુતિયા પોલીસ સ્ટેશનમાં નિર્ધારિત સમય પહેલા તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. સુતિયા પોલિસ સ્ટેશન એ ભારતનુ પ્રથમ અને એકમાત્ર સ્થળ હોવાનુ કહેવાય છે જ્યાં યુનિયન જેકને ઉથલાવી દેવામાં આવ્યો હતો અને પ્રથમ વખત ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. મહેન્દ્ર બરકાતકી, બોલોરમ બોરમુડોઈ, ચંદ્ર બોરા, બીરેન બોરકાતકી અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ આ ઐતિહાસિક ક્ષણના અભિનેતા અને સાક્ષી હતા. બાદમાં બ્રિટિશ વહીવટીતંત્રે 22 ઓગસ્ટ 1942ના રોજ ભારતીય ધ્વજ ફરકાવવો ગેરકાયદેસર જાહેર કર્યો હતો. મહેન્દ્ર બરકાતકી અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ મોકલવામાં આવ્યા હતા.
તિરંગો 20 સપ્ટેમ્બરના રોજ પણ ઘણી જગ્યાએ ફરકાવ્યો
દેશના અન્ય ભાગોની જેમ, ગોહપુર, સુતિયા અને ઢેકિયાજુલીના કોંગ્રેસ કાર્યકરો ફરી એક વખત એકઠા થયા. 20 સપ્ટેમ્બર, 1942ના રોજ તિરંગો લહેરાવવાની યોજના હેઠળ સંબંધિત પોલિસ સ્ટેશનો તરફ કૂચ શરૂ થઈ. બ્રિટિશ પ્રશાસને પણ દેખાવકારો પર ગોળીબાર કર્યો હતો. ગોહપુરના કનકલતા બારુ અને મુકુંદ કાકતી સિવાય 13 લોકોના મોત થયા હતા. ઢેકિયાજુલી પોલિસ સ્ટેશનમાં 13 લોકોએ સર્વોચ્ચ બલિદાન આપ્યુ. દબાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ 20 સપ્ટેમ્બરના ઐતિહાસિક દિવસે સુતિયા પોલિસ સ્ટેશનમાં પણ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. શાંતિપૂર્ણ રીતે ત્રિરંગો ફરકાવવાનો શ્રેય સુતિયા ડેથ સ્ક્વૉડના તત્કાલીન સેક્શન કમાન્ડર ગોલક સૈકિયાને જાય છે. તેમણે યુનિયન જેક નીચે ઉતાર્યો અને ત્રિરંગો ફરકાવ્યો. આ દુર્લભ પરંતુ ઐતિહાસિક ક્ષણના સાક્ષી હરિ પ્રસાદ મિશ્રા આજે પણ હયાત છે.
હરિ પ્રસાદ કોંગ્રેસમાં રહ્યા સક્રિય
1942ના જનઆંદોલન પછી પણ હરિ પ્રસાદ કોંગ્રેસ સાથે સક્રિય રહ્યા. સમાજ સેવા ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક કાર્યકર તરીકે કોંગ્રેસ પક્ષની પણ સેવા કરી હતી. તેમણે બૃહદ નાગાશંકર પ્રદેશમાં અનેક સામાજિક-આર્થિક અને શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપનામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. હરિ પ્રસાદની ભૂમિકા દ્વારા રચાયેલી સંસ્થાઓના નામો પર એક નજર-
- નાગશંકર હાઈસ્કૂલ, લાખણગઢ કીર્તન સંઘ. સંઘ હાલમાં લખનગઢ સમર દલાની ગાંવ ઉન્નયન સમિતિ તરીકે ઓળખાય છે.
- સમર દલાની એમઈ શાળા
- શ્રી શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, બાપુજી પુસ્તકાલય (હાલમાં તારાનાથ સરમા સ્મૃતિ પુસ્તકાલય)
- નાગશંકર સમાબાઈ સમિતિ
- દક્ષિણ નાગશંકર હાઈસ્કૂલ
2016માં રાષ્ટ્રપતિએ કર્યા સમ્માનિત
1947માં બહુપ્રતીક્ષિત આઝાદી પછી હરિ પ્રસાદ મિશ્રા ઑલ આસામ ફ્રીડમ ફાઈટર્સ એસોસિએશનના સંપર્કમાં આવ્યા. તેઓ સ્વતંત્રતા સેનાની સંઘની સોનિતપુર જિલ્લા સમિતિના પ્રમુખ બન્યા. આઝાદીની ચળવળના ગુમનામ નાયકને 1994માં આસામ સરકાર દ્વારા રાજનીતિક પીડિત પેન્શન એનાયત કરવામાં આવ્યુ હતુ. ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ, પ્રણવ મુખર્જીએ 9 ઓગસ્ટ, 2016ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં સ્વતંત્રતાના અન્ય નાયકો સાથે સૌથી વરિષ્ઠ નાયક હરિ પ્રસાદનુ સન્માન કર્યુ હતુ.
97 વર્ષના હરિ પ્રસાદ 130 કરોડ નાગરિકોની પ્રેરણા
97 વર્ષની વયે હરિ પ્રસાદ મિશ્રા યુવાનો માટે પ્રેરણાથી કમ નથી. ઉંમરના આ પડાવે હરિ પ્રસાદ તેમની શતાબ્દી પૂર્ણ કરવાથી માત્ર ત્રણ વર્ષ દૂર છે. સમર દલાની નિવાસ ખાતે પરિવારના સભ્યો સાથે સામાન્ય અને સુખી જીવન જીવી રહેલા હરિ પ્રસાદ મિશ્રા સહિત 130 કરોડથી વધુ દેશવાસીઓને વનઈન્ડિયા પરિવાર તરફથી 76માં સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.