ગુરુ પુર્ણીમાના દિવસે બનાસકાંઠા જિલ્લામાં 287 વિદ્યા સહાયક નિમણૂંક ઓર્ડર અપાયા
ગુરુ પુર્ણીમાના દિવસે બનાસકાંઠા જિલ્લામાં 287 વિદ્યા સહાયક નિમણૂંક ઓર્ડર અપાયા
બનાસકાંઠા જિલ્લામાં ગુરુ પૂર્ણિમાના દિવસે વિદ્યા સહાયક ભરતી 2022 માં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 માં વિદ્યા સહાયક શિક્ષકોને સ્થળ પસંદગી કેમ્પનું આયોજન પાલનપુરની જામપુરા પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 287 જેટલા નવિન શિક્ષકોને નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમાર, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતદાન ગઢવી તથા બનાસકાંઠા જિલ્લાના વિવિધ ઘટક સંઘના પ્રમુખ અને મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં શિક્ષકોની પારદર્શક પદ્ધતિથી સ્થળની પસંદગી કરી જિલ્લામાં કુલ 287 વિદ્યાસહાયક શિક્ષકોને નિમણૂંક ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ધોરણ 1 થી 5 નિમ્ન પ્રાથમિકમાં 135 તેમજ ધોરણ છ થી આઠમાં ભાષાના 45 શિક્ષકો ગણિત અને વિજ્ઞાનના 75 વિદ્યાસહાયક શિક્ષકો અને સામાજિક વિજ્ઞાનના 32 એમ મળી કુલ 287 શિક્ષકોને વિદ્યા સહાયકના નિમણૂંક ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ચેરમેન માંગીલાલ પટેલે શિક્ષકોને ખૂબ ખંતથી કામ કરવા માટે આહવાન કર્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નવી નિમણૂંક પામેલા વિદ્યા સહાયક મિત્રોને શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્ય અને જિલ્લાના શિક્ષણને વધુ ગુણવત્તાયુક્ત અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી બનાવવા મદદરૂપ થવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.












Click it and Unblock the Notifications
