CBSE એ ધોરણ 12 બોર્ડની પરીક્ષાના ટાઈમટેબલમાં ફેરફાર કર્યા, જુઓ નવુ ટાઈમટેબલ
સીબીએસસીએ 12માં ધોરણની બોર્ડની પરિક્ષાના ટાઈમટેબલમાં ફેરફાર કર્યો છે. હવે આ નવા અપડેટ અનુસાર પરિક્ષા લેવાશે.
ગાંધીનગર : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસસીના વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સીબીએસસીએ 12માં ધોરણની બોર્ડની પરિક્ષાના ટાઈમટેબલમાં ફેરફાર કર્યો છે. હવે આ નવા અપડેટ અનુસાર પરિક્ષા લેવાશે.
અહીં તમને જણાવી દઈએ કે સીબીએસસીએ પહેલા 12માં ધોરણની બોર્ડની પરિક્ષા 4 એપ્રિલ 2023થી લેવાની જાહેરાત કરી હતી. હવે આ તારીખો બદલાઈ છે. નવા જારી કરાયેલા ટાઈમ ટેબલ અનુસાર હવે 12માં ધોરણની બોર્ડની પરિક્ષાઓ 27 માર્ચ 2023થી લેવામાં આવશે. વિદ્યાર્થીઓ આ પરિક્ષાનું ટાઈમ ટેબલ સીબીએસસીની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પર જોઈ શકે છે.
અહીં વિદ્યાર્થીઓએ એ પણ જાણી લેવુ જરૂરી છે કે ધોરણ 10ની પરિક્ષાના સમયમાં કોઈ ફેરફાર કરાયો નથી. આ સિવાયની વિગતો અનુસાર પ્રેક્ટિકલ પરિક્ષાઓ 2 જાન્યુઆરીથી લેવામાં આવશે. આ તારીખોમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી.
સીબીએસસીએ 29 ડિસેમ્બરે આ અપડેટ કાર્યક્રમ જાહેર કર્યો છે. આ કાર્યક્રમ અનુસાર ધોરણ 12ની પરિક્ષાઓ 27 માર્ચ 2023 થી 5 એપ્રિલ 2023 સુધી ચાલશે. આ સિવાય ધોરણ 10ની પરિક્ષાઓ 15 ફેબ્રુઆરીએ શરૂ થશે અને 21 માર્ચ સુધી ચાલશે. ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ સબ્જેક્ટિવ મોડમાં લેવાશે. બોર્ડ દ્વારા હવે એડમિટ કાર્ડ જારી કરાશે.