કોરોનાની અસર, માહિતી ખાતાની પરીક્ષાઓ રદ
કોરોનાની અસર, માહિતી ખાતાની પરીક્ષાઓ રદ
સમગ્ર દેશમાં કોરોનાવાયરસની બીજી લહેરે કહેર મચાવ્યો છે. દેશમાં દરરોજ કેસમાં વધારો થતો જઈ રહ્યો છે. વેક્સીનેશન ચાલુ છે છતાં કોરોનાના કેસ અટકવાનું નામ નથી લઈ રહ્યા. બીજી તરફ સરકારી નોકરી માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હતી જેને લઈને પણ તંત્ર ચિંતિત હતું. આગામી 10 તારીખના રોજ માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટે પ્રિલિમનરી પરીક્ષા લેવામાં આવનાર હતી.
જો કે હવે નોટિફિકેશન જાહેર કરી માહિતી ખાતા દ્વારા આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હોવાનુ જણાવ્યું છે. માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક (વર્ગ-1), સહાયક માહિતી નિયામક (વર્ગ-2) તથા સિનિયર સબ એડિટર (વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3)-એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત ઓજસ પર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
ઉપરોક્ત વિવિધ સંવર્ગ માટેની પ્રિલિમનરી પરીક્ષા 10 એપ્રિલ 2021ના રોજ યોજાનાર હતી પરંતુ કોવિડ 19ના વધી રહેલા સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લેતાં સાવચેતીના ભાગરૂપે આ પ્રિલિમનરી પરીક્ષાઓ અન્ય સૂચના પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષાની નવી તારીખ અંગેની વિગતો ઓજસ પર મુકવામાં આવશે. નવી તારીખ માટે ઉમેદવારોએ આ વેબસાઈટ ચકાસતું રહેવું.