GATE 2022 માટેની આવેદન પ્રકિયા રદ્દ, હવે આ તારીખથી ફોર્મ ભરાશે!
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) ખડગપુરે GATE 2022 એટલે ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટની અરજી પ્રક્રિયા રદ કરી છે. નવા શિડ્યૂઅલ મુજબ હવે અરજી પ્રક્રિયા 2 સપ્ટેમ્બર 2021 થી શરૂ થશે. અગાઉ અરજીની તારીખ 30 ઓગસ્ટ 2021 નક્કી કરવામાં આવી હતી. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ gate.iitkgp.ac.in પર 24 સપ્ટેમ્બર સુધીમાં અને ત્યારબાદ 1 ઓક્ટોબર સુધી લેટ ફી સાથે અરજી કરી શકે છે.
ઉમેદવારોએ માત્ર એક જ વાર અરજી કરવાની રહેશે. એક કરતા વધારે અરજીના કિસ્સામાં માત્ર એક જ અરજી સ્વીકારવામાં આવશે. ફી પરત કર્યા વિના અન્ય અરજી રદ્દ થશે. IIT ખડગપુર (IITKGP) 5, 6, 12 અને 13, ફેબ્રુઆરી 2022 માં GATE 2022 ની પરીક્ષા લેશે.પરીક્ષામાં આ વર્ષે બે નવા પેપર ઉમેરાયા છે. જીઓમેટિક્સ એન્જિનિયરિંગ (જીઇ) અને નેવલ આર્કિટેક્ચર અને મરીન એન્જિનિયરિંગ (એનએમ). GATE 2022 એડમિટ કાર્ડ 3 જાન્યુઆરીથી ડાઉનલોડ કરી શકાશે અને 17 માર્ચે પરીક્ષાનું પરિણામ જાહેર થશે. આ તમામ તારીખો અસ્થાયી છે અને કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમાં ફેરફાર થઈ શકે છે.
જે ઉમેદવાર ગ્રેજ્યુએશન કરી રહ્યા છે અથવા ગ્રેજ્યુએશનના ત્રીજા કે અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે અથવા જે વિદ્યાર્થીએ એન્જિનિયરિંગ/ટેકનોલોજી/આર્કિટેક્ચર/સાયન્સ/ કોમર્સ/આર્ટ્સમાં સરકાર માન્ય ડિગ્રી પ્રોગ્રામ પૂર્ણ કરી લીધા છે તે GATE 2022 ની પરીક્ષામાં બેસવા લાયક ગણાશે.
GATE 2022 ની પરીક્ષામાં આવવા માટે કોઈ વય મર્યાદા નથી. કોઈપણ વયની કોઈપણ વ્યક્તિ આ પરીક્ષા માટે અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને સૂચના જોઈ લો.
સ્નાતર બાદના અભ્યાસક્રમ (માસ્ટર અને ડોક્ટરલ) અને અન્ય સરકારી શિષ્યવૃત્તિ/સહાયકોમાં પ્રવેશ માટે ગેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. ઘણા જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) તેમની ભરતી માટે GATE ના સ્કોરને જોવે છે અને ભારત અને વિદેશની ઘણી યુનિવર્સિટીઓ તેમના પ્રવેશ માટે GATE સ્કોર્સને માન્ય રાખે છે.